કાશ્મીર ઘાટીમાં અચાનક 28,000 સુરક્ષાકર્મીઓની તહેનાતી, દેશના ખૂણે-ખૂણેથી જવાનોને કરાઈ રહ્યાં છે એરલિફ્ટ

જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ઘાટીમાં સુરક્ષા દળોની 280થી વધુ કંપનીઓ (28000 જવાનો) તહેનાત કરવામાં આવી રહી છે.

કાશ્મીર ઘાટીમાં અચાનક 28,000 સુરક્ષાકર્મીઓની તહેનાતી, દેશના ખૂણે-ખૂણેથી જવાનોને કરાઈ રહ્યાં છે એરલિફ્ટ

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ઘાટીમાં સુરક્ષા દળોની 280થી વધુ કંપનીઓ (28000 જવાનો) તહેનાત કરવામાં આવી રહી છે. પીટીઆઈના અહેવાલ મુજબ અધિકૃત સૂત્રોએ આ જાણકારી આપી છે. સૂત્રોએ  કહ્યું કે સુરક્ષા દળોને શ્રીનગર શહેરના અતિસંવેદનશીલ વિસ્તારોમાં તથા ઘાટીની અન્ય જગ્યાઓ પર તહેનાત કરવામાં આવી રહ્યાં છે. જેમાં મોટાભાગના સીઆરપીએફના જવાનો છે. આ બાજુ એએનઆઈના જણાવ્યાં મુજબ હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા સરકારે એરફોર્સ અને આર્મીને પણ હાઈ ઓપરેશનલ એલર્ટ પર મૂક્યા છે. 

સૂત્રોએ કહ્યું કે આ પ્રકારે અચાનક 280થી વધુ કંપનીઓ (28,000 સુરક્ષાકર્મીઓ)ને મોડી સાંજે તહેનાત કરવા પાછળ કોઈ કારણ આપવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે શહેરમાં પ્રવેશ અને બહાર નિકળવાના તમામ રસ્તાઓ કેન્દ્રીય અર્ધસૈનિક દળોને સોંપી દેવાયા છે. સ્થાનિક પોલીસની માત્ર પ્રતિકાત્મક હાજરી જ છે. સ્થાનિક રહીશો ગભરાયેલા છે અને તેમણે જરૂરી સામાન ખરીદવાનું શરૂ કરી દીધુ છે. 

— ANI (@ANI) August 2, 2019

અધિકારીઓએ કહ્યું કે કેટલાક ધર્મસ્થળોની સુરક્ષા હટાવી લેવાઈ છે કારણ કે એવી ગુપ્ત માહિતી હતી કે વિદેશી આતંકીઓ ત્યાં પોલીસકર્મીઓને નિશાન બનાવવાની યોજના ઘડી રહ્યા છે. તેમણે કહ્યું કે શિક્ષણ સંસ્થાઓમાં પહેલેથી રજાઓની જાહેરાત કરાઈ છે. ગુરુવારથી દસ દિવસ માટે શાળાઓ બંધ છે. તેમણે કહ્યું કે અમરનાથ યાત્રા માટે કેટલાક લંગરોને પણ બંધ કરી દેવાયા છે. 

અત્રે જણાવવાનું કે કેન્દ્રએ હાલમાં જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના કાશ્મીર પ્રવાસ બાદ તાબડતોબ 10000 સુરક્ષાકર્મીઓને કાશ્મીર મોકલવાનો આદેશ અપાયો હતો. જેથી કરીને બગડતી કાયદો વ્યવસ્થાને ઠીક કરી શકાય અને આતંકવાદી વિરોધી અભિયાનોને ઝડપી  બનાવી શકાય. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી સતત વિરોધ કરી રહ્યાં છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે કેન્દ્રના આ નિર્ણયે ઘાટીમાં ભયનું વાતાવરણ સર્જ્યુ છે. 

જુઓ LIVE TV

કેન્દ્રીય દળોને એરલિફ્ટ કરીને કાશ્મીર મોકલવામાં આવી રહ્યાં છે
સૂત્રોના જણાવ્યાં મુજબ દેશના વિભિન્ન ભાગમાં તહેનાત કેન્દ્રીય સુરક્ષાદળોને એરલિફ્ટ કરીને સીધા કાશ્મીર પહોંચાડવામાં આવી રહ્યાં છે. આ કામમાં વાયુસેનાના માલવાહક વિમાનો કામે લાગ્યા છે. જમ્મુ અને કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે તાજેતરમાં કહ્યું હતું કે કાશ્મીરમાં સુરક્ષાદળોની 100 વધુ કંપનીઓ તહેનાત કરવામાં આવી રહી છે. દરેક કંપનીમાં 100 જવાનો હશે. 

— ANI (@ANI) August 2, 2019

આ કેન્દ્રીય દળોમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ(સીઆરપીએફ), સીમા સુરક્ષા દળ (બીએસએફ), સશસ્ત્ર સીમા બળ(એસએસબી), અને ભારત-તિબ્બત સીમા પોલીસ (આઈટીબીપી) સામેલ છે. સૂત્ર જણાવે છે કે એનએસએ ડોભાલ ચૂપકેથી ઘાટીના પ્રવાસે શ્રીનગર પહોંચ્યા હતાં. તેમણે સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓના ટોપના ઓફિસરો સાથે અલગ અલગ મુલાકાતો કરી હતી. જેમાં રાજ્યપાલના સલાહકાર કે.વિજયકુમાર, મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમ, ડીજીપી દિલબાગ સિંહ, આઈજી એસપી પાણી જેવા લોકો સામેલ હતાં. કાશ્મીર પ્રવાસ વખતે આઈબીના ટોચના અધિકારીઓની ટીમ પણ ડોભાલ સાથે હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news