કેરળના 23 વર્ષના વિદ્યાર્થીમાં નિપાહ વાયરસનો રિપોર્ટ પોઝિટીવ, 86 લોકોને દેખરેખ હેઠળ મુકાયા

કેરળના આરોગ્ય મંત્રી કે.કે. શૈલજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, "પુણેની વાયરોલોજી ઈન્સ્ટીટ્યુટના રિપોર્ટમાં કોચીના એર્નાકુલમના એક વ્યક્તિમાં નિપાહ વાયરસ પોઝિટીવ હોવાનું જણાવાયું છે." 
 

કેરળના 23 વર્ષના વિદ્યાર્થીમાં નિપાહ વાયરસનો રિપોર્ટ પોઝિટીવ, 86 લોકોને દેખરેખ હેઠળ મુકાયા

નવી દિલ્હીઃ કેરળની સરકારે મંગળવારે તેમના ત્યાં નિપાહ વાયરસનો પોઝિટીવ દર્દી હોવાનું જાહેર કર્યું છે. કેરળના આરોગ્ય મંત્રી કે.કે. શૈલજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, "પુણેની વાયરોલોજી ઈન્સ્ટીટ્યુટના રિપોર્ટમાં કોચીના એર્નાકુલમના એક વ્યક્તિમાં નિપાહ વાયરસ પોઝિટીવ હોવાનું જણાવાયું છે." આ રિપોર્ટ અનુસાર, 23 વર્ષનો એક એન્જિનિયરિંગના વિદ્યાર્થીને એર્નાકુલમમાં આઈસોલેશન વોર્ડમાં શીફ્ટ કરાયો છે. નિપાહ વાયરસે તેના મગજ પર અસર કરી છે. 

આરોગ્ય મંત્રી શૈલજાએ વધુમાં જણાવ્યું કે, આ વિદ્યાર્થી જે 86 લોકોના સંપર્કમાં આવ્યો છે એ તમામની યાદી તૈયાર કરી લેવાઈ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ મુકવામાં આવ્યા છે. કેરળના આરોગ્ય વિભાગે નિપાહ વાયરસનો સામનો કરવા માટે પ્રાથમિક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. શૈલજાએ તિરુવનંતપુરમમાં જણાવ્યું કે, કોચ્ચીની કલામસેરી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં અલગ વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે. 

— ANI (@ANI) June 4, 2019

મુખ્યમંત્રી વિજયનને કરાયા માહિતગાર
આરોગ્ય મંત્રીએ મુખ્યમંત્રી પિનરાયી વિજયનને આ ઘટનાક્રમ અંગે માહિતી આપી છે અને હવે તેઓ કોચ્ચિ પહોંચ્યાં છે. તેમણે સોમવારે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સાથે ઉચ્ચ સ્તરની એક બેઠક પણ કરી હતી. 

આરોગ્યમંત્રી શૈલજાએ લોકોને ઉદ્દેશની જણાવ્યું છે કે, કોઈએ ડરવાની જરૂર નથી. સરકાર પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ છે. કોઝિકોડથી તબીબી નિષ્ણાતો કોચ્ચિ પહોંચી ગયા છે અને પુરતી દવાઓ અને તબીબી ઉપકરણ પણ સરકારે ઉપલબ્ધ કરાવ્યા છે. 

ગયા વર્ષે ફેલાયો હતો વાયરસ
કેરળમાં ગયા વર્ષે પણ નિપાહ વાયરસનો પ્રકોપ જોવા મળ્યો હતો. આરોગ્યમંત્રીએ જણાવ્યું કે, સરકારે ગયા વર્ષે કોઝીકોડ અને મલપ્પુરમ જિલ્લામાં નિપાહ વાયરસ સામે સફળતાપૂર્વક લડાઈ લડી હતી. સાથે જ તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે અફવા ન ફેલાવવા માટે લોકોને અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, નિપાહ વાયરસ ચામાચિડીયામાંથી લોકોમાં ફેલાય છે અને હજુ સુધી તેની કોઈ દવા શોધાઈ નથી. તેનો ચેપ લાગ્યા પછી જો ઝડપી ઈલાજ ન થાય તો દર્દીનું મોત થવાની સંભાવના રહે છે, કેમ કે આ વાયરસ સીધો જ મગજને અસર કરે છે.

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news