આ છે મોદી સરકારની ખુબ મોટી યોજના, જેનાથી 10 લાખ લોકોને મળશે નોકરી

'આ યોજનાથી મોટા પાયે રોજગારીની તકો સર્જાશે. તેનાથી સ્વાસ્થ્ય અને વીમા ક્ષેત્રમાં 10 લાખ રોજગારની તકોનું સર્જન થશે.'

આ છે મોદી સરકારની ખુબ મોટી યોજના, જેનાથી 10 લાખ લોકોને મળશે નોકરી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી સ્વાસ્થ્ય યોજનાથી સ્વાસ્થ્ય અને વીમા યોજનામાં 10 લાખ રોજગારીની તકો સર્જાશે. એક અધિકારીએ આ અંગે જાણકારી આપી. વડાપ્રધાન જન આરોગ્ય યોજના (PMJAY)ના મુખ્ય કાર્યપાલક અધિકારી ઈન્દુભૂષણે ઉદ્યોગ મંડળ એસોચેમના કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે આ યોજનાથી સાર્વજનિક અને ખાનગી એમ બંને ક્ષેત્રોમાં સ્વાસ્થ્યની ગુણવત્તા સુધરશે. ભૂષણે કહ્યું કે 'આ યોજનાથી મોટા પાયે રોજગારીની તકો સર્જાશે. તેનાથી સ્વાસ્થ્ય અને વીમા ક્ષેત્રમાં 10 લાખ રોજગારની તકોનું સર્જન થશે.'

60 ટકા ફંડ કેન્દ્રમાંથી આવશે
અધિકારીએ જણાવ્યું કે ભારતમાં સ્વાસ્થ્ય પર ખર્ચ અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓ કરતા ઘણો વધારે છે. તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય પર ક્ષમતાથી વધુ ખર્ચના કારણે દેશના છ કરોડ લોકો ગરીબીના ખપ્પરમાં હોમાય છે. PMJAY હેઠળ 10.7 કરોડથી વધુ ગરીબ પરિવારોને વાર્ષિક 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમા કવચ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે માટે 60 ટકા ફંડ કેન્દ્ર સરકાર પાસેથી અને બાકીનું રાજ્યો પાસેથી લેવાશે. 

વડાપ્રધાન જન આરોગ્ય વીમા યોજનાની ખાસ વાતો

- 5 લાખ રૂપિયાનો હેલ્થ ઈન્શ્યોરન્સ આપનારી સૌથી મોટી યોજના છે.
- કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કરશે આ યોજના માટે ફંડિંગ.
- 10 કરોડથી વધુ પરિવારો એટલે કે 50 કરોડથી વધુ લોકોને મળશે લાભ.
- અત્યાર સુધી દેશભરના 13 હજારથી વધુ હોસ્પિટલો તેની સાથે જોડાયા છે.
- 5 લાખ સુધીના ખર્ચમાં હોસ્પિટલમાં દાખલ થવા ઉપરાંત જરૂરી તપાસ, દવાઓ, દાખલ થતા પહેલાનો ખર્ચ અને સારવાર પૂરી થયા સુધીનો ખર્ચ સામેલ છે.
- 30 રાજ્ય 443 જિલ્લાઓને મળી છે વડાપ્રધાન જન આરોગ્ય યોજનાની સુવિધા.
- 86 ટકા ગ્રામીણ પરિવારોનો કોઈ હેસ્થ ઈન્શ્યોરન્સ નથી.
- વડાપ્રધાન જન આરોગ્ય યોજના કે આયુષ્યમાન ભારત યોજનાનો લાભ ઉઠાવવા માટે આધાર કાર્ડ જરૂરી નથી. 
- આધાર કાર્ડ ઉપરાંત વોટર આઈડી કે રાશન કાર્ડ પણ આપી શકો છો.
- વીમા યોજના સાથે જોડાયેલી તમામ હોસ્પિટલોમાં એક આયુષ્યમાન મિત્ર લોકોની મદદ માટે હશે.
- મોંઘી સારવારના કારણે જનતા ગરીબીમાંથી બહાર નીકળી શકતી નથી.

લાભાર્થીઓની સૂચિમાં આ રીતે શોધો તમારા નામ
વડાપ્રધાન જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓની સૂચિમાં તમારું નામ શોધવા માટે તમારે  mera.pmjay.gov.in વેબસાઈટ પર જવું પડશે. અહીં મોબાઈલ નંબરવાળા ફોર્મમાં તમારો નંબર નાખો. કેપ્ચા પણ એડ કરો. હવે સૌથી નીચે જનરેટ ઓટીપી બટન પર ક્લિક કરો. ઓટીપી નાખશો એટલે એક બીજુ પેજ ખુલશે, જ્યાં તમારે તમારા રાજ્યને પસંદ કરવાનું છે. ત્યારબાદ તમારે તમારું નામ, રાશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર કે RSBY URNની પસંદગી કરવાની છે અને તેની માહિતી નાખો. ત્યારબાદ સર્ચ બટન પર  ક્લિક કરો. જો તમારું નામ હશે તો નીચે આવી જશે. બીજી રીત છે હેલ્પલાઈન નંબરની. તમારે આ યોજનાના લાભાર્થીની સૂચિમાં તમારું નામ છે કે નહીં તે જાણવું હોય તો 14555 હેલ્પલાઈન નંબરનો ઉપયોગ કરીને જાણી શકો છે. નંબર પર કોલ કરો અને જાણવા મળશે કે તમારું નામ છે કે નહીં. 

(ઈનપુટ ભાષામાંથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news