Pahalgam Attack: પાકિસ્તાનને તરસ્યું રાખવું ભારત માટે સરળ નથી! ખાસ જાણો કેમ?
Indus Waters Treaty: પહેલગામના કુદરતી સૌંદર્યને માણવા માટે આવેલા પર્યટકો પર આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરીને 26 જેટલા નિર્દોષ લોકોના જીવ લીધા. ત્યારબાદ ભારત સરકાર સતત એક્શન મોડમાં છે અને પાકિસ્તાન પર કડક પગલાં લેવા માંડ્યા છે જેમાંથી એક છે સિંધ જળ સંધિને સ્થગિત કરવી. પરંતુ શું આ પાણી રાતોરાત રોકવું એટલું સરળ છે ખરું?
Trending Photos
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક વલણ અપનાવતા સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો અર્થ એ છે કે ભારત હવે સિંધુ, ઝેલમ, અને ચિનાબ સહિત આ ત્રણ નદીોના પાણીને પાકિસ્તાન જતા રોકી શકે છે. આ નિર્ણય લેતી વખતે ભારતે એ સ્પષ્ટ કરી દીધુ છે કે પાકિસ્તાન જ્યાં સુધી આતંકવાદનું સમર્થન ચાલુ રાખશે ત્યાં સુધી ભારત આ સંધિને લાગૂ કરશે નહીં.
સિંધુ જળ સંધિ સ્થગિત કરવાથી શું થશે
પાકિસ્તાનના સિંધ અને પંજાબ પ્રાંતની 90 ટકા ખેતી યોગ્ય જમીન સિંધુ જળ સમજૂતિ હેઠળ મળતા પાણી પર જ નિર્ભર છે. આવામાં જો ભારત ચિનાબ, ઝેલમ અને સિંધુ જેવી નદીઓના પાણીને રોકે તો તેનાથી સમગ્ર પાકિસ્તાનમાં હાહાકાર મચી શકે છે. પાકિસ્તાનમાં પાણી રોકવામાં આવે તો પાકિસ્તાનની ખેતી યોગ્ય જમીન સૂકીભઠ થઈ જાય અને પીવાના પાણીથી લઈને વીજળી પ્રોજેક્ટ્સને પણ મોટો ઝટકો લાગશે.
કેટલો સમય લાગશે આ પાણી રોકવામાં?
એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતના આ પગલાંથી પાકિસ્તાને આર્થિક બદહાલી સહન કરવી પડશે. જો કે હવે સવાલ એ છે કે શું સિંધુ જળ સંધિ રદ કરવી એટલી સરળ છે? શું ભારત રાતોરાત ત્રણે નદીઓના પાણી રોકી શકે છે? આ સાથે જ ભારતને આ ત્રણેય નદીઓના પાણી રોકવામાં કેટલો સમય લાગશે? જાણો આ સવાલોના જવાબ
વાત જાણે એમ છે કે હાલ આ અંગે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ નથી કે જેનાથી રાતોરાત પાકિસ્તાન જતું પાણી ભારતમાં રોકી શકાય. જો ભારત ડેમ બનાવીને કે પાણી સ્ટોર કરીને આવું કરે તો પણ તેનાથી જમ્મુ કાશ્મીર અને પંજાબ જેવા રાજ્યોમાં પૂર આવી શકે છે.
હાલની સ્થિતિ જોઈએ તો ભારતે ત્રણ પશ્ચિમી નદીઓ પર ચાર પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી છે. જેમાં બે પ્રોજેક્ટ તો પહેલેથી જ શરૂ થઈ ચૂક્યા છે જ્યારે બેને શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. ભારતે પાકિસ્તાનના ભાગમાં આવનારી ચિનાબ પર બગલીહાર ડેમ અને રતલે પ્રોજેક્ટ શરૂ કર્યા છે. ચિનાબની એક વધુ સહાયક નદી પર પાકલ ડુલ પ્રોજેક્ટ અને ઝેલમની સહાયક નદી નીલમ પર કિશનગંગા પ્રોજેક્ટ શરૂ કર્યા છે. જેમાંથી ફક્ત બગલીહાર ડેમ અને કિશનગંગા પ્રોજેક્ટ ચાલુ છે.
રાતોરાત પાણી રોકવું અશક્ય
આવામાં જો ભારત પાકિસ્તાનના ભાગમાં આવતી ત્રણ નદીઓના પાણી રોકે તો તેમાં ઘણો સમય લાગે તેવી સંભાવના છે. હકીકતમાં આ ત્રણ નદીઓથી મળતું લાખો ક્યૂસેક પાણીના ઉપયોગ માટે ભારતે પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તૈયાર કરવું પડશે. આ વાત પાકિસ્તાન એક્સપર્ટ્સ પણ કહે છે. પાકિસ્તાને ભારતનો આ નિર્ણય એકતરફી અને ગેરકાયદેસર ગણાવ્યો છે. તેણે આ સંધિ તોડવાનું કામ એ એક્ટ ઓફ વોર ગણાવ્યું છે અને વિશ્વ બેંક તથા સંયુક્ત રાષ્ટ્રમાં જવાની વાત કરી છે.
કાનૂની લડત લડશે
પાકિસ્તાની નેતાઓનું કહેવું છે કે ભારત રાતોરાત સિંધુ જળ સંધિથી મળતા પાણી પર રોક લગાવી શકે નહીં. આવામાં તેમની પાસે ભારતના આ નિર્ણય વિરુદ્ધ કાનૂની લડત લડવાનો પૂરતો સમય છે.
હાલ જોવી પડશે રાહ
આ નિર્ણયને લઈને કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે પાકિસ્તાનનું બધુ પાણી સંપૂર્ણ રીતે રોકવા માટે ભારતને ઓછામાં ઓછા 5 વર્ષ લાગી શકે છે. આ માટે મોટા પાયે બંધ નિર્માણ, નહેરોનો વિસ્તાર અને પાણીને સ્ટોર કરવાની સુવિધાઓ વિક્સાવવી પડશે. આ સાથે ભારતે પોતાના રાજ્યોમાં પાણીના ઉપયોગની યોજના પણ બનાવવી પડશે જેથી કરીને પૂર જેવી સમસ્યાઓથી બચી શકાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે