)
Indian Doctor: ભારતમાં એક ડોક્ટરે દૂધ અને પનીરને 'નોન-વેજ' (માંસાહારી) ખોરાકની શ્રેણીમાં રાખીને વિવાદ ઊભો કર્યો છે. ડો. સિલોવિયા કરપગામે દાવો કર્યો કે, દૂધ અને પનીર પશુ સ્ત્રોતમાંથી આવે છે, તેથી તેને શાકાહારી ગણી શકાય નહીં. તેમના નિવેદનથી સોશિયલ મીડિયા પર સેંકડો શાકાહારીઓ નારાજ થયા. ડોક્ટર કરપગામનું આ નિવેદન અન્ય ડોક્ટર દ્વારા શેર કરાયેલ શાકાહારી થાળીની તસવીર પર આવ્યું છે. આ તસવીરમાં પનીર, મગની દાળ, સલાડ, કાચું નારિયેળ, અખરોટ અને મીઠાસ વગરની ખીરનો સામેલ હતી. તે પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ થાળી પ્રોટીન, સારી ચરબી અને ફાઈબરથી ભરપૂર છે.
શાકાહારી હોવાનો અર્થ શું છે?
ડો. સિલોવિયાએ આ પોસ્ટનો જવાબ આપતા લખ્યું કે, "પનીર અને દૂધ 'શાકાહારી' નથી. તે પશુ સ્ત્રોતમાંથી આવે છે. એવી જ રીતે જેમ ચિકન, માછલી અને બીફ." તેમના આ નિવેદને સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો કર્યો છે. ઘણા યુઝર્સે ડો. કરપાગમના નિવેદનનો વિરોધ કર્યો અને કહ્યું કે, પનીર અને દૂધ શાકાહારી છે. કારણ કે તેમના દ્વારા કોઈ પ્રાણીને મારવામાં આવતું નથી. એક યુઝરે કહ્યું કે, "પનીર કે દૂધ માટે કોઈ પ્રાણીની હત્યા કરવામાં આવતી નથી." અન્ય એક યુઝરે કહ્યું કે, "દૂધ અને દૂધમાંથી બનાવવામાં આવેલ પ્રોડક્ટ શાકાહારી હોય છે, કારણ કે તેમાં કોઈ જાનવરની હત્યા કરવામાં આવતી નથી."
ડો. કરપગામે આ દલીલ પર સવાલ ઉઠાવ્યો અને પૂછ્યું કે, જો મરઘી ન મારવામાં આવે તો ઇંડાને 'નોન-વેજ' કેમ ગણવામાં આવે છે. આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ફરી એકવાર વિવાદ ઊભો થયો છે.
ભારતમાં શાકાહારી હોવાની પરિભાષા
ભારતમાં શાકાહારી હોવાની પરિભાષા અન્ય દેશો કરતા અલગ છે. અહીંના શાકાહારીઓ સામાન્ય રીતે 'લેક્ટો-વેજિટેરિયન' હોય છે, જેઓ દૂધ અને દૂધમાંથી બનાવવામાં આવતી પ્રોડક્ટ (પનીર, ઘી, દહીં વગેરે) ખાય છે, પરંતુ ઈંડા ખાતા નથી. જ્યારે પશ્ચિમી દેશોમાં શાકાહારી તે લોકો છે, જે દૂધ, દૂધની બનાવટો અને ઇંડા ખાય છે. કેટલાક દેશોમાં 'પેસ્કેટેરિયન' (જેઓ માછલી અને સીફૂડ ખાય છે પરંતુ માંસ નથી ખાતા) પણ શાકાહારી માનવામાં આવે છે.