ગુરુગ્રામ: ડેન્ગ્યુથી બાળકીનું મોત, હોસ્પિટલે પરિવારને પકડાવ્યું 16 લાખનું બિલ
ડેંન્ગ્યુથી પીડાતી એક સાત વર્ષની બાળકીને ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. લગભગ 15 દિવસ સુધી તેની સારવાર ચાલી પરંતુ અંતમાં તેને બચાવી શકાઈ નહીં.
- સાત વર્ષની આદ્યાને 27 ઓગસ્ટે ખુબ તાવ આવ્યો.
- પહેલા રોકલેન્ડ અને ત્યારબાદ ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.
- સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાએ આ મામલે તપાસનું આશ્વાસન આપ્યું.
Trending Photos
નવી દિલ્હી: ડેંન્ગ્યુથી પીડાતી એક સાત વર્ષની બાળકીને ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. લગભગ 15 દિવસ સુધી તેની સારવાર ચાલી પરંતુ અંતમાં તેને બચાવી શકાઈ નહીં. હોસ્પિટલે બાળકીની સારવાર માટે પરિવારને 16 લાખનું બિલ પકડાવી દીધુ. આ બાજુ પરિજનોની માગણી છે કે આ સમગ્ર મામલે તપાસ થવી જોઈએ કે હોસ્પિટલે કયા પ્રકારની સારવાર કરી અને તેમાં કેટલો ખર્ચ થયો? બાળકીને સારવાર દરમિયાન આઈસીયુમાં ભરતી કરાઈ હતી અને ત્યારબાદ ફોર્ટિસથી રોકલેન્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરવા દરમિયાન તેનું મોત થયું હતું.
સોશિયલ મીડિયા પર આ મુદ્દે હોબાળો મચ્યા બાદ અને પરિજનોની માગણી પર સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાએ કહ્યું કે જો ખોટો ચાર્જ કરવામાં આવ્યો હશે તો મામલે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. ફોર્ટિસે પોતાના તરફથી કોઈ પણ પ્રકારની ગડબડીને ફગાવી દીધી છે. હોસ્પિટલે જણાવ્યું કે બાળકી આદ્યા સિંહની સારવારમાં સંપૂર્ણ સ્ટાન્ડર્ડ મેડિકલ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું અને તમામ ક્લિનિકલ ગાઈડલાઈન્સનું ધ્યાન રખાયું. હોસ્પિટલે પોતાનો પૂરેપૂરો રિપોર્ટ સ્વાસ્થ્ય મંત્રીને સોપ્યો છે. સાથે સાથે એમ પણ કહ્યું કે 15.79 લાખ રૂપિયા ચાર્જ કરવામાં આવ્યો છે.
વાત જાણે એમ છે કે આ મામલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે 17 નવેમ્બરના રોજ આદ્યાના પિતાના મિત્રે ટ્વિટર પર લખ્યું કે મારા એક બેચમેટની સાત વર્ષની પુત્રી 15 દિવસ સુધી ફોર્ટિસમાં રહી. આ દરમિયાન 18 લાખથી વધુ બિલ આવ્યું અને છેલ્લે તો તેને બચાવી શકાઈ નહીં. આ મેસેજને ચાર દિવસમાં નવ હજારથી વધુ લોકોએ રિટ્વિટ કર્યો. જેના કારણે સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાએ હસ્તક્ષેપ કરવો પડ્યો. તેમણે સમગ્ર ઘટનાની વિગતો માંગતા તપાસનું આશ્વાસન આપ્યું.
Delhi: Parents claim Gurugram's Fortis hospital charged them of Rs 16 lakh for 15-day Dengue treatment of their daughter who died during it, say, the case should be thoroughly investigated pic.twitter.com/CwReqrvEzG
— ANI (@ANI) November 21, 2017
આદ્યાના પિતા જયંત સિંહ આઈટી પ્રોફેશનલ છે અને દ્વારકામાં રહે છે. તેમણે કહ્યું કે તેમની પુત્રી આદ્યા બીજા ધોરણમાં ભણતી હતી. 27 ઓગસ્ટના રોજ તેને ઝડપથી તાવ ચડ્યો. બે દિવસ સુધી તાવ ઓછો ન થતા તેને રોકલેન્ડ હોસ્પિટલ લઈ જવામાં આવી. ત્યાં ટેસ્ટથી પુષ્ટિ થઈ કે તેને ડેન્ગ્યુ છે. ત્યારબાદ તો તેની તબિયત વધુ બગડતી ગઈ અને આખરે કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જવાનું કહેવાયું. 31 ઓગસ્ટના રોજ તેને ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરાઈ. આમ છતાં પણ તેની હાલાતમાં કોઈ સુધારો થયો નહીં અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી. આમ તેને 10 દિવસ સુધી આ રીતે રાખવામાં આવી અને પરિવારને ભારે બિલ થમાવી દેવામાં આવ્યું.
ત્યારબાદ 14 સપ્ટેમ્બરના રોજ જ્યારે એમઆરઆઈ થયો તો ખબર પડી કે મગજ ખુબ ખરાબ રીતે ડેમેજ થયું છે. ડોક્ટરોએ પણ આશા છોડી દીધી. ત્યારબાદ અમે તેને બીજી હોસ્પિટલ લઈ જવાનું નક્કી કર્યું અને પાછી રોકલેન્ડ હોસ્પિટલ લઈ જવાઈ. જ્યાં 14-15 સપ્ટેમ્બરના રોજ આદ્યાનું મોત થયું. આદ્યાના પિતાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે તેમણે બાળકીની સારવાર દરમિયાન પાંચ લાખની પર્સનલ લોન લીધી. આ ઉપરાંત પરિવાર અને બચત ભેગી કરીને હોસ્પિટલનું બિલ ભર્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે