આતંકી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત, ઘટનાસ્થળે જવા માટે આપ્યો નિર્દેશ

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પહેલગામ નજીક મંગળવારે આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
 

આતંકી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત, ઘટનાસ્થળે જવા માટે આપ્યો નિર્દેશ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલા બાદ સાઉદી અરબના બે દિવસીય પ્રવાસ પર પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાતચીત કરી અને તેમને આ મામલે મજબૂત પગલા ભરવાનું કહ્યું છે. પ્રધાનમંત્રીએ ગૃહમંત્રીને ઘટનાસ્થળની મુલાકાત લેવાનું પણ કર્યુ છે. આ વચ્ચે અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. આ બેઠકમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હા, મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા, સીઆરપીએફ ડીજી, જમ્મુ-કાશ્મીરના ડીજીપી અને સેનાના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા સામેલ થયા હતા. સૂત્ર પાસેથી મળેલી માહિતી પ્રમાણે અમિત શાહ જલ્દી પહેલગામની મુલાકાત લેશે.

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામ નજીક મંગળવારે થયેલા શંકાસ્પદ આતંકવાદી હુમલામાં એક પ્રવાસીનું મોત થયું હતું અને અન્ય 12 ઘાયલ થયા હતા. ઘાયલો પૈકી બેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો જ્યારે તેઓ ઘોડા પર સવાર હતા. આ હુમલામાં કેટલાક ઘોડાઓ પણ ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન TRFએ લીધી છે. આ એક આતંકવાદી સંગઠન છે જે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું છે.

બેસરન ઘાટીમાં થયો હુમલો
અધિકારીઓએ જણાવ્યું કે આ હુમલો બેસરન ઘાટીમાં થયો, જ્યાં માત્ર ચાલીને કે ખચ્ચર પર પહોંચી શકાય છે. આજે સવારે પર્યટકોનો એક સમૂહ ત્યાં ફરવા આવ્યો હતો. એક પ્રત્યક્ષદર્શી અનુસાર અજાણ્યા હુમલાખોરોએ નજીકથી ગોળીઓ ચલાવી, જેમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. હુમલાના સમયે ઘટનાસ્થળે રહેલી એક મહિલાએ કહ્યું- મારા પતિને માથામાં ગોળી વાગી છે, જ્યારે સાત અન્ય લોકો હુમલામાં ઈજાગ્રસ્ત થયા છે.

ઘાટલોને ખચ્ચર પર નીચે લાવવામાં આવ્યા
મહિલાએ પોતાની ઓળખ જાહેર કરી ન હતી પરંતુ ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે મદદ માંગી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે કેટલાક ઘાયલોને સ્થાનિક લોકો તેમના ખચ્ચર પર નીચે લાવ્યા હતા. પહેલગામ હોસ્પિટલના એક ડૉક્ટરે જણાવ્યું હતું કે 12 ઘાયલ પ્રવાસીઓને ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા અને તે તમામની હાલત સ્થિર છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અહીં જણાવ્યું હતું કે, ગોળીબારના અવાજો સાંભળીને સુરક્ષા દળો પહેલગામ પર્યટન સ્થળ બૈસારન ખીણ તરફ આગળ વધ્યા હતા. આ ઘટના એવા સમયે બની છે જ્યારે કાશ્મીર વર્ષોથી આતંકવાદ સામે લડ્યા બાદ પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સિવાય 38 દિવસની અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થવાની છે. દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ બે માર્ગો દ્વારા પવિત્ર ગુફા મંદિરની મુલાકાત લે છે. એક માર્ગ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 48-કિમી લાંબો પહેલગામ માર્ગ છે જ્યારે બીજો ગાંદરબલ જિલ્લામાં 14-કિમીનો નાનો બાલટાલ માર્ગ છે જેમાં ચઢાણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news