શરદ પવારે રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત, NCPનો કોંગ્રેસમાં થઈ શકે વિલય: સૂત્ર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ચીફ શરદ પવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આજે મુલાકાત કરી. સૂત્રોના જણાવ્યાં મુજબ એનસીપીનો કોંગ્રેસમાં વિલય થઈ શકે છે.

શરદ પવારે રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત, NCPનો કોંગ્રેસમાં થઈ શકે વિલય: સૂત્ર

નવી દિલ્હી: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ચીફ શરદ પવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આજે મુલાકાત કરી. સૂત્રોના જણાવ્યાં મુજબ એનસીપીનો કોંગ્રેસમાં વિલય થઈ શકે છે. અત્રે જણાવવાનું કે લોકસભા ચૂંટણીમાં સજ્જડ હારના પગલે રાહુલ ગાંધીએ રાજીનામાની રજુઆત કરી હતી. જ્યારે બીજી બાજુ એનસીપીએ પણ લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. 

સૂત્રોનું કહેવું છે કે આ મુલાકાત દરમિયાન શરદ પવારે રાહુલ ગાંધીને અધ્યક્ષ પદે રહેવાની અપીલ કરી છે. બંને પક્ષોના વિલય અંગે સમર્થકોનું કહેવું છે કે સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દા પર અલગ પાર્ટી એનસીપી બની હતી. હવે આ મુદ્દો ખતમ થઈ ગયો છે. બંને પક્ષોની વિચારધારામાં કોઈ મૂળભૂત અંતર નથી. આ બાજુ વિલય પર સમર્થકોનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી અગાઉ જો બંને પક્ષો એક થઈ જાય તો પરિણામ સારા આવશે. 

આ સાથે જ કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ પણ રાહુલ ગાંધીની મુલાકાત કરી. કુમારસ્વામીએ બુધવારે કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષને પદ પર બની રહેવાનો આગ્રહ કરશે. 

જુઓ LIVE TV

વરિષ્ઠ નેતાઓ વચ્ચે બેઠકોનો દોર ચાલુ
આ બાજુ રાહુલ ગાંધીએ રાજીનામું આપી દેવાની જે રીતે જીદ પકડી રાખી છે તેના કારણે કોંગ્રેસમાં પેદા થયેલા રાજકીય સંકટ વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ વચ્ચે બેઠકો ચાલુ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મલ્લિકાર્જૂન ખડગે અને દિગ્વિજય સિંહે પાર્ટીના કોષાધ્યક્ષ અહેમદ પટેલની મુલાકાત કરી. આ અગાઉ અનેક નેતાઓએ રાહુલને કોંગ્રેસ અધ્યક્ષ બની રહેવા માટે ભલામણ કરી છે. 

નોંધનીય છે કે 25મી મેના રોજ કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ રાજીનામું આપવાની વાત કરી હતી. જો કે સીડબલ્યુસીએ તેમની રજુઆત ફગાવીને તેમને સંગઠનમાં તમામ સ્તરે ધરમૂળ ફેરફાર માટે અધિકૃત કર્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news