કોંગ્રેસી નેતાઓના 'વિવાદીત' નિવેદનોની ભરમાળ, હવે સેમ પિત્રાડાએ કર્યો ભડકો...

કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાએ 1984 શીખ રમખાણો પર એક નિવેદન આપીને આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે, ભાજપ અત્યારે આ નિવેદનને એવી રીતે ઉછાળી રહ્યું છે, જેવી રીતે તેમણે 2014માં મણિશંકર અય્યરના નિવેદનને ઉછાળ્યું હતું. દિલ્હી અને પંજાબમાં મતદાન છે તેના કારણે ભાજપ અત્યારે આ મુદ્દે ફ્રન્ટફૂટ પર રમી રહી છે 

કોંગ્રેસી નેતાઓના 'વિવાદીત' નિવેદનોની ભરમાળ, હવે સેમ પિત્રાડાએ કર્યો ભડકો...

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2019ની લડાઈના કેન્દ્રમાં ફરી એક વખત 1984ના શીખ રમખાણો આવી ગયા છે. આ અંગે ભાજપ પહેલાથી જ નવા-નવા મુદ્દા લઈને પ્રચારમાં ઉછાળી રહી હતી ત્યાં કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાના એક નિવેદને આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. સેમ પિત્રોડાએ કહ્યું છે કે, "84 હુઆ તો હુઆ". હવે, ભાજપ આ નિવેદનને એવી રીતે ઉછાળી રહ્યું છે, જેવી રીતે તેમણે 2014માં મણિશંકર અય્યરના નિવેદનને ઉછાળ્યું હતું. દિલ્હી અને પંજાબમાં મતદાન છે તેના કારણે ભાજપ અત્યારે આ મુદ્દે ફ્રન્ટફૂટ પર રમી રહી છે. તેનો પ્રયાસ આ મુદ્દાને ઉછાળીને કોંગ્રેસને બેકફૂટ પર લઈ જવાનો છે. 

પનોતિ સાબિત થશે પિત્રોડાનું નિવેદન? 
2014ની ચૂંટણીમાં જ્યારે મણિશંકર અય્યરે નરેન્દ્ર મોદીને ચાવાળા કહ્યા હતા ત્યારે ભાજપે તેને જ ચૂંટણીનો મુદ્દો બનાવી દીધો હતો. આ વખતે 'ચોકીદાર ચોર હૈ' નારો કોંગ્રેસે ઉછાળ્યો તો પીએમ મોદી પોતે જ 'ચોકીદાર' બની ગયા છે. હવે ચૂંટણી પૂરી થવાના તબક્કામાં પહોંચી છે ત્યાં સેમ પિત્રોડાએ 1984ના શીખ રમખાણો પર વિવાદિત નિવેદન આપીને ભાજપની સામે થાળી ધરી દીધી હોય એવો ઘાટ સર્જાયો છે. 

સેમ પિત્રોડાએ એવું કહ્યું હતું કે, "ભાજપા તો સતત જૂઠ્ઠું બોલી રહી છે. પહેલા અમારા પર જૂઠો પ્રચાર કર્યો, પછી તમારા પર બોલ્યા. 1984નો મુદ્દો શું છે, તમે વાત તો કરો. તમે પાંચ વર્ષમાં શું કર્યું છે? 84માં રમખાણ થયા તો થયા... તમે શું કર્યું છે?"

દિલ્હીમાં પ્રચારનો અંતિમ દિવસ
દિલ્હીમાં લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 7 સીટ પર 12 મેના રોજ મતદાન થવાનું છે અને આજે એટલે કે શુક્રવારે અહીં પ્રચારનો અંતિમ દિવસ છે. ભાજપે આ મુદ્દાને તરત જ હાથમાં પકડી લીધો છે અને દિલ્હી-પંજાબમાં જોરદાર પ્રદર્શન શરૂ કર્યા છે. સાથે જ કોંગ્રેસને આ મુદ્દે માફી માગવા જણાવ્યું છે.

કોંગ્રેસ બેકફૂટ પર શા માટે? 
ભાજપ 1984ના રમખાણો પર જેટલી આક્રમક થઈ રહી છે, કોંગ્રેસની મુશ્કેલીઓ એટલી જ વધી રહી છે. કેમ કે, પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા પછી દિલ્હીની સડકો પર અને દેશના અન્ય રાજ્યોમાં જે શીખ રમખાણો થયા હતા, તેમાં કોંગ્રેસના અનેક નેતાઓના નામ બહાર આવ્યા હતા. જગદીશ ટાઈટલર અને સજ્જન કુમાર તો અત્યારે આ મુદ્દે દોષિત સાબિત થઈ ગયા છે. વડાપ્રધાન મોદી મધ્યપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી કમલનાથને પણ તેમાં ખેંચી રહ્યા છે. 

રાજીવ ગાંધીની ચર્ચા શા માટે? 
અત્યારે રાજકીય વર્તુળોમાં એ વાત ચર્ચાનો વિષય છે કે, વડાપ્રધાન મોદીએ રાજીવ ગાંધીનું નામ ચૂંટણી પ્રચારમાં શા માટે ઉછાળ્યું છે? વાત એમ છે કે, ઈન્દિરા ગાંધીની હત્યા પછી દેશમાં થયેલા રમખાણો અંગે રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, "જ્યારે કોઈ મોટું ઝાડ પડે છે તો ધરતી થોડી ધ્રુજે છે." વડાપ્રધાન મોદી આ નિવેદનને વટાવવા માગે છે. 

દિલ્હી અને પંજાબમાં શીખ-પંજાબી સમુદાયને પોતાની તરફ ખેંચવા ભાજપ પાસે આ એક જ સારો મુદ્દો છે અને એટલે જ ભાજપા આ રણનીતિ પર આગળ વધી રહી છે. જેમાં પહેલા રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી જણાવાયા અને પછી શીખ રમખાણોનો મુદ્દો ઉછાળવામાં આવ્યો. ભાજપા તેની રણનીતિમાં સફળ થઈ અને હવે સેમ પિત્રોડાનું નિવેદન તેમના માટે અત્યંત ફાયદાકારક બની ગયું છે. 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news