)
BJP Minister Vijay Shah : કર્નલ સોફિયા કુરેશી વિશે અભદ્ર ટિપ્પણી કરનારા મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહની સાથે ભાજપ પણ બરાબરનું ફસાયું છે. હાઈકોર્ટે આ મુદ્દે સુઓમોટો લીધી છે, તો સુપ્રીમ કોર્ટે કડક ઠપકો આપ્યો. છતાં સમગ્ર મામલે ભાજપ ચૂપચાપ બેસ્યું છે. કોંગ્રેસે પણ મંત્રીના નિવેદનનો વિરોધ કર્યો છે.
મૌનને ઘણીવાર સંમતિનું પ્રતીક માનવામાં આવે છે. પોતાના મંત્રીઓના આવા વાહિયાત નિવેદન બાદ ભાજપ દ્વારા વિજય શાહ સામે કોઈ કાર્યવાહી ન કરવી એ પણ સમર્થન આપવા જેવું છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું...
સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો નથી. CJI બીઆર ગવઈએ ભાજપના મંત્રી વિજય શાહને ઠપકો આપ્યો અને કહ્યું, તમે કેવા પ્રકારનું નિવેદન આપી રહ્યા છો? તમે મંત્રી છો. મંત્રી તરીકે તમે કેવા પ્રકારની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છો? શું આ મંત્રીને શોભે છે? કોર્ટે કહ્યું કે, બંધારણીય પદ પર બેઠેલા વ્યક્તિ પાસેથીઆવા નિવેદનની અપેક્ષા રાખવામાં આવતી નથી. જ્યારે દેશ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે જવાબદાર પદ પર બેઠેલા વ્યક્તિ પાસેથી આવા નિવેદનની અપેક્ષા રાખી શકાતી નથી.
CJIએ કહ્યું કે તમે જાણો છો કે તમે કોણ છો, ખરું ને? આ અંગે વિજય શાહના વકીલે કહ્યું કે તેમના ક્લાયન્ટે માફી માંગી છે. મીડિયાએ તેમના નિવેદનને વિકૃત રીતે રજૂ કર્યું છે. મીડિયાએ તેને વધુ પડતો પ્રચાર કર્યો છે. વકીલે કહ્યું કે હાઇકોર્ટે આદેશ આપતા પહેલા અમને સાંભળ્યા નથી. ત્યારે સીજેઆઈએ કહ્યું કે તમે હાઇકોર્ટ સમક્ષ કેમ ન ગયા? અમે કાલે આ મામલાની સુનાવણી કરીશું. ૨૪ કલાકમાં કંઈ થશે નહી. આ કહીને કોર્ટે વિજય શાહ સામેની એફઆઈઆર પર સ્ટે માંગતી અરજી પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે.
વિજય શાહને બચાવવાનો પ્રયાસ શા માટે?
સરકારી વકીલ દ્વારા મીડિયાના બહાને હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ અને ભાજપ હાઈકમાન્ડ તરફથી કાર્યવાહીનો અભાવ, આ દર્શાવે છે કે વિજય શાહને દરેક સ્તરે બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
૧૧ મેના રોજ વિજય શાહે મહુના રાયકુંડામાં કર્નલ સોફિયા કુરેશીનું નામ લઈને ટિપ્પણી કરી હતી. બીજા દિવસે વિજય શાહના નિવેદન પર ચારેબાજુ હોબાળો થયો, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. ૧૩ મેના રોજ કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી મોહન યાદવે વિજય શાહને બોલાવ્યા, પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. થોડા સમય પછી, વિજય શાહ મીડિયા સામે આવ્યા અને પોતાના નિવેદન પર દિલગીરી વ્યક્ત કરી.
તે દિવસે પાછળથી, વિજય શાહનો માફી માંગવાનો એક વીડિયો બહાર આવ્યો, જેમાં તે માફી માંગી રહ્યા છે. પણ સાથે સાથે હસતા પણ દેખાઈ રહ્યાં છે.
ભાજપના નેતાઓ દિવસભર ડેમેજ કંટ્રોલ કરવામાં વ્યસ્ત રહ્યા, અને પછી રાત્રે 10 વાગ્યે ભાજપના નેતાઓની એક ટીમ નૌગાંવમાં કર્નલ સોફિયા કુરેશીના ઘરે પહોંચી અને પરિવારના સભ્યોને મળી.
બેઠક દરમિયાન ભાજપના નેતાઓએ કહ્યું કે સોફિયા આપણા દેશની દીકરી છે અને અમને તેના પર ગર્વ છે.