)
26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાને અમેરિકાથી એનઆઈએની 7 સભ્યોની ટીમ દિલ્હી લઈને આવી રહી છે. ગણતરીની પળોમાં લઈને આવી રહેલું સ્પેશિયલ પ્લેન દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થયું છે. ત્યારબાદ તેને એરપોર્ટથી એનઆઈએ હેડક્વાર્ટર લઈ જવામાં આવી રહ્યો છે. અહીં તપાસ એજન્સીઓની ટીમ દ્વારા તેની પૂછપરછ કરાશે. રાણાને અમેરિકાથી ભારત લાવ્યા બાદ તિહાડ જેલના ઉચ્ચ સુરક્ષાવાળા વોર્ડમાં રાખવામાં આવી શકે છે.
તિહાડ જેલમાં રખાઈ શકે છે
26/11 મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાને તિહાડ જેલમાં રાખવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે 64 વર્ષના તહવ્વુર રાણાને દિલ્હીની તિહાડ જેલમાં એક હાઈ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવશે. તેમણે જણાવ્યું કે આતંકવાદીને રાખવા માટે જેલમાં તમામ જરૂરી તૈયારીઓ કરી લેવાઈ છે. તહવ્વુર રાણા વર્ષ 2008માં મુંબઈ આતંકી હુમલાના મુખ્ય ષડયંત્રકર્તાઓમાંથી એક ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીનો નજીકનો સહયોગી છે.
કોણ છે તહવ્વુર રાણા?
તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે. જે અમેરિકામાં લાંબા સમયથી જેલમાં બંધ હતો. તે 26/11 મુંબઈ હુમલાના મુખ્ય ષડયંત્રકાર ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીનો નીકટનો સાથી હતો. તપાસ એજન્સીઓ મુજબ હેડલીએ ભારતમાં અનેક જગ્યાઓની રેકી રાણાની મદદથી કરી હતી. રાણા વિરુદ્ધ ભારતે લાંબા સમયથી અમેરિકા પાસે પ્રત્યાર્પણની માંગણી કરી હતી જે હવે પૂરી થઈ ગઈ છે.
પાકિસ્તાનની પ્રથમ પ્રતિક્રિયા
તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ પર પાકિસ્તાન તરફથી પહેલું નિવેદન પણ આવ્યું. પાકિસ્તાને તહવ્વુર રાણાથી અંતર જાળવ્યું છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે તહવ્વુર રાણાએ છેલ્લા બે દાયકામાં પોતાના પાકિસ્તાની દસ્તાવેજોને રિન્યુ કરાવ્યા નથી. તેની કેનેડિયન નાગરિકતા સ્પષ્ટ છે.
અત્રે જણાવવાનું કે પાકિસ્તાન પોતાને એટલા માટે અલગ કરી રહ્યું છે કારણ કે તહવ્વુર રાણા પાકિસ્તાની સેના/આઈએસઆઈનો આંતરિક સૂત્ર છે, જે હવે મુંબઈ 26/11 હુમલાના ષડયંત્રમાં પાકિસ્તાનની પ્રત્યક્ષ ભૂમિકા વિશે ખુલાસો કરશે.