)
Delhi CMRekha Gupta Attack: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે સવારે સિવિલ લાઈન્સ સ્થિત તેમના કાર્યાલયમાં આયોજિત 'જન સુનવાઈ' કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિએ હુમલો કર્યો હતો. આ અચાનક બનેલી ઘટનાએ ખળભળાટ મચાવી દીધો અને રાજકીય ગલિયારાઓમાં તમામ પ્રકારના આરોપ-પ્રતિઆક્ષેપો થવા લાગ્યા હતા. આ દરમિયાન આ હુમલા અંગે રેખા ગુપ્તાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. મુખ્યમંત્રીએ પોતાના પહેલા નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે, આ હુમલો તેમનો ઉત્સાહ તોડી શકશે નહીં. તેમણે X પર આ સંદર્ભમાં એક નિવેદન જાહેર કર્યું છે.
'સ્વાભાવિક છે કે આ હુમલા બાદ હું આઘાતમાં હતી'
રેખા ગુપ્તાએ X પર એક પોસ્ટમાં લખ્યું કે, 'આજે સવારે જાહેર સુનાવણી દરમિયાન મારા પર થયેલો હુમલો ફક્ત મારા પર જ નહીં, પરંતુ દિલ્હીની સેવા અને લોકોના લભાઈના અમારા સંકલ્પ પર કરવામાં આવેલો એક કાયર પ્રયાસ છે. સ્વાભાવિક છે કે આ હુમલા પછી હું આઘાતમાં હતી, પરંતુ હવે હું સારું મહેસૂસ કરી રહી છું. હું મારા બધા શુભેચ્છકોને વિનંતી કરું છું કે, કૃપા કરીને મને મળવા માટે પરેશાન ન થાય. હું ખૂબ જ ટૂંક સમયમાં તમારી વચ્ચે કામ કરતી જોવા મળીશ.'
'તમારો વિશ્વાસ અને સમર્થન જ મારી સૌથી મોટી તાકાત'
દિલ્હીના મુખ્યમંત્રીએ આગળ લખ્યું કે, 'આવા હુમલા મારા ઉત્સાહ અને જનતાની સેવાના સંકલ્પને ક્યારેય તોડી શકશે નહીં. હવે હું પહેલા કરતાં વધુ ઉર્જા અને સમર્પણ સાથે તમારી વચ્ચે રહીશ. જાહેર સુનાવણી અને જાહેર સમસ્યાઓનું નિરાકરણ પહેલાની જેમ જ ગંભીરતા અને પ્રતિબદ્ધતા સાથે ચાલુ રહેશે. તમારો વિશ્વાસ અને સમર્થન જ મારી સૌથી મોટી તાકાત છે. તમારો અપાર સ્નેહ, આશીર્વાદ અને શુભેચ્છાઓ માટે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.'
શું થયું હતું આ ઘટના દરમિયાન?
પોલીસના જણાવ્યા અનુસાર, હુમલો સવારે 8:15 વાગ્યે થયો હતો. હુમલાખોરની ઓળખ 41 વર્ષીય રાજેશભાઈ ખીમજીભાઈ સાકરિયા તરીકે થઈ છે અને તે ગુજરાતના રાજકોટનો રહેવાસી છે. તે ફરિયાદીના વેશમાં મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યો હતો. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, 'અમે બધા બેઠા હતા. જે વ્યક્તિનો વારો આવ્યો, તે વ્યક્તિ મુખ્યમંત્રી સાથે બેઠો હતો. તે તેમની સાથે વાત કરી રહ્યો હતો અને અચાનક તેણે તેમના પર હુમલો કરી દીધો. અમને જોરદાર અવાજ સંભળાયો અને પોલીસે તાત્કાલિક તે વ્યક્તિને કસ્ટડીમાં લઈ લીધો.'
પોલીસે જણાવ્યું કે, હુમલાખોરે મુખ્યમંત્રીને પકડીને ખેંચીને જમીન પર પછાડવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં રેખા ગુપ્તાને હાથ, ખભા અને માથામાં ઈજાઓ થઈ હતી. PWD મંત્રી પ્રવેશ વર્માએ જણાવ્યું કે, ડોક્ટરોએ મુખ્યમંત્રીની તપાસ કરી અને તેમનો મેડિકો-લીગલ કેસ એટલે કે MLC તપાસ પણ કરવામાં આવી. તેમણે કહ્યું કે, હાલમાં તેઓ નિરીક્ષણ હેઠળ છે અને સ્વસ્થ છે.
અનેક કલમો હેઠળ નોંધવામાં આવ્યો કેસ
સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 109(1) (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત, લોક સેવકની ફરજ બજાવવામાં અવરોધ ઊભો કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઉત્તર) રાજા બંઠિયાએ જણાવ્યું કે, હુમલાખોર પાસે કોઈ હથિયાર નહોતું, પરંતુ તેની બેગમાંથી કપડાં અને કેટલાક કાગળો મળી આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, હુમલાખોર સામે પહેલાથી જ 5 ફોજદારી કેસ નોંધાયેલા છે, જેમાં છરીના હુમલાના 2 કેસ અને એક્સાઇઝ એક્ટના 3 કેસનો સમાવેશ થાય છે.
'સુનિયોજિત કાવતરું' હોવાનો દાવો
મુખ્યમંત્રી કાર્યાલયે આ હુમલાને 'મુખ્યમંત્રીની હત્યા કરવાના સુનિયોજિત કાવતરા'નો ભાગ ગણાવ્યો. શાલીમાર બાગ સ્થિત મુખ્યમંત્રીના નિવાસસ્થાનમાંથી મળેલા CCTV ફૂટેજને ટાંકીને સૂત્રોએ જણાવ્યું કે, હુમલાખોરે ઓછામાં ઓછા 24 કલાક અગાઉથી હુમલાની તૈયારી શરૂ કરી દીધી હતી. ફૂટેજમાં તે મુખ્યમંત્રીના નિવાસસ્થાનની રેકી કરતો, વીડિયો રેકોર્ડ કરતો અને ફોન પર કોઈની સાથે વાત કરતો જોવા મળે છે. આ ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા છે અને ઘટનાની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાખોરના મોબાઇલ ફોનમાંથી 'જાહેર સુનાવણી'ના બે વીડિયો મળી આવ્યા છે, જેમાં શાલીમાર બાગમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન અને તેમના કાર્યાલયનો વીડિયો પણ શામેલ છે.