ટ્રમ્પના ટેરિફ પર ભારત માટે ક્યારે આવશે સારા સમાચાર ? પિયુષ ગોયલે કહ્યું: આ ક્ષેત્રોમાં કોઈ બાંધછોડ થશે નહીં !
India-US Trade Talks: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ભારત અને અમેરિકા સાથેના વેપાર કરાર પર જવાબ આપ્યો છે. છેલ્લા ઘણા સમયથી વાતો ચાલી રહી છે કે ભારત અને અમેરિકા વચ્ચે ટુંક સમયમાં ટ્રેડ ડીલ કરવામાં આવશે પણ, સરકાર પણ હવે સ્પષ્ટ કરી દીધુ છે કે અમેરિકાની આ ત્રણ માંગ માનવામાં આવશે નહીં.
Trending Photos
)
India-US Trade Talks: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શનિવારે (18 ઓક્ટોબર, 2025) ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર પર ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વાટાઘાટો સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આગળ વધી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત ખેડૂતો, માછીમારો અને MSMEના હિતોનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
GST બચત મહોત્સવ નિમિત્તે આયોજિત એક પત્રકાર પરિષદમાં ગોયલે કહ્યું હતું કે, જ્યાં સુધી આપણે ભારતના ખેડૂતો, માછીમારો અને MSME (માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ) ક્ષેત્રના હિતોને સંપૂર્ણપણે સંબોધિત ન કરીએ ત્યાં સુધી કોઈ કરાર થઈ શકશે નહીં.
પ્રસ્તાવિત કરાર અને તેની અપેક્ષિત પૂર્ણતા તારીખ પર બંને દેશો વચ્ચે વાટાઘાટોની પ્રગતિ અંગેના પ્રશ્નના જવાબમાં ગોયલે કહ્યું હતું કે, વાટાઘાટો સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે. આ ટિપ્પણી મહત્વપૂર્ણ છે કારણ કે યુએસ ભારતના કૃષિ ક્ષેત્રમાં છૂટછાટો માંગી રહ્યું છે.
વોશિંગ્ટનમાં ભારતીય અધિકારીઓનું નેતૃત્વ કરે છે વાણિજ્ય સચિવ
વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં ભારતીય અધિકારીઓની એક ટીમ આ અઠવાડિયે વોશિંગ્ટનમાં તેમના યુએસ સમકક્ષો સાથે વેપાર વાટાઘાટો કરવા માટે હતી. આ વર્ષના ફેબ્રુઆરીમાં, ભારત અને યુએસના નેતાઓએ અધિકારીઓને પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર વાટાઘાટો આગળ વધારવા કહ્યું હતું.
તેમણે ઓક્ટોબર-નવેમ્બર 2025 સુધીમાં કરારના પ્રથમ તબક્કાને પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરી છે. અત્યાર સુધીમાં વાટાઘાટોના પાંચ રાઉન્ડ પૂર્ણ થયા છે. ગયા મહિને, ગોયલે વેપાર વાટાઘાટો માટે ન્યૂયોર્કમાં એક સત્તાવાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.
વિશ્વભરમાં ભારતના માલ અને સેવાઓની માંગ: ગોયલ
ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે યુએસ ટેરિફને કારણે વૈશ્વિક પડકારો છતાં ભારતની નિકાસમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળશે. તેમણે કહ્યું કે આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના (એપ્રિલ-સપ્ટેમ્બર) દરમિયાન દેશની માલ અને સેવાઓની નિકાસમાં વધારો નોંધાયો છે.
ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન, તેઓ લગભગ પાંચ ટકા વધીને $413.3 બિલિયન થયા. આ સમયગાળા દરમિયાન ભારતની વેપારી નિકાસ પણ ત્રણ ટકા વધીને 220.12 બિલિયન ડોલર થઈ છે. તેમણે કહ્યું કે વિશ્વભરમાં આપણા માલ અને સેવાઓની માંગ છે, અને ભારત આ વિકાસ માર્ગ પર આગળ વધશે, અને અમને વિશ્વાસ છે કે 2025-26માં દેશની નિકાસ સકારાત્મક રીતે વધશે.
GST સુધારા દેશના અર્થતંત્રને વેગ આપશે: ગોયલ
એક પ્રશ્નના જવાબમાં, ગોયલે એમ પણ કહ્યું કે GST સુધારા અર્થતંત્રને વેગ આપશે અને વૈશ્વિક પડકારોની અસરનો સામનો કરવામાં મદદ કરશે. તાજેતરના GST દર ઘટાડાના ફાયદાઓનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે, GSTની જાહેરાત થતાં જ રોકાણકારોને તરત જ ખ્યાલ આવી ગયો કે આ એક મોટો ફાયદો છે. માંગમાં મોટો વધારો થશે.
કેટલીક ઈ-કોમર્સ કંપનીઓએ GST ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડ્યો નથી કે કેમ તે પૂછવામાં આવતા, મંત્રીએ કહ્યું કે સામાન્ય રીતે બધી કંપનીઓએ લાભો આપ્યા છે અને રોકડ બોનસ અને ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરી છે.
ગોયલે કહ્યું કે પરંતુ જો કોઈ સાઇટ અથવા પ્લેટફોર્મે લાભો પહોંચાડ્યા નથી, તો તેઓ ગ્રાહક બાબતોના વિભાગને ફરિયાદ કરી શકે છે, અને ગ્રાહક બાબતોનો વિભાગ જરૂરી પગલાં લેશે. બધા ઉદ્યોગો અને કંપનીઓએ મને ખાતરી આપી છે કે ગ્રાહકોને સંપૂર્ણ લાભો પહોંચાડવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














