)
No Sugar Sweets Recipes: ઘણા લોકોને મીઠાઈ આવતી હોય છે. કેટલાક લોકોના ઘરમાં તો કાયમ માટે મીઠાઈ રાખવામાં આવે છે જેને ભોજન પછી કે ભોજનની સાથે ખાવામાં આવે છે. જોકે મીઠાઈ ખાવાનું ધ્યાન એ લોકોએ ખાસ રાખવું જોઈએ જેમને ડાયાબિટીસ હોય અથવા તો વધારે વજન હોય. મીઠાઈ બનાવવામાં ખાંડનો ઉપયોગ થાય છે જે શરીરને નુકસાન પણ કરી શકે છે. ખાંડના ઉપયોગના કારણે ઘણા લોકો મીઠાઈ ખાવાનું ટાળતા પણ હોય છે.
પરંતુ જો તમે ખાંડ વિના બનતી મીઠાઈ ઘરે બનાવો છો તો કોઈપણ પ્રકારની ચિંતા વિના તેને ખાઈ શકો છો. આજે તમને પાંચ આવી જ મીઠાઈ વિશે જણાવીએ જેને બનાવવામાં ખાંડનો ઉપયોગ કરવો નહીં પડે અને સ્વાદમાં પણ તે બેસ્ટ લાગે છે. આ 5 મીઠાઈમાં એવી વસ્તુઓનો ઉપયોગ થાય છે જે સ્વાસ્થ્યને પણ ફાયદો કરે છે. આ મીઠાઈઓ એવી છે જેને ખાવાથી સ્વાદ મળશે અને સાથે જ સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તો ફટાફટ નોંધી લો 5 હેલ્ધી મીઠાઈ બનાવવાની રીત.
બદામના લાડુ
જો તમારા ઘરમાં નાના-મોટા સૌ કોઈને મીઠાઈ ભાવે છે તો તેમના માટે બદામના લાડુ બનાવો. બદામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બદામના લાડુ બનાવવા માટે બદામને ધીમા તાપે શેકી ઠંડી કરી લેવી. ત્યાર પછી તેનો પાવડર કરી લેવો. હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ગોળ સારી રીતે શેકો. ગોળ શેકાઈ જાય પછી તેમાં દૂધ, બદામનો પાઉડર અને એલચી પાવડર ઉમેરી પાંચ મિનિટ પકાવો. ત્યાર પછી લાડુના મિશ્રણને ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી તેમાંથી લાડુ વાળી સ્ટોર કરી લો.
નાળિયેરના લાડુ
નાળિયેર અને ગોળના લાડુ પણ નાના-મોટા સૌ કોઈને ભાવે એવા બને છે. આ લાડુ શરીરને પણ ફાયદો કરે છે. નાળિયેરના લાડુ બનાવવામાં પણ સમય લાગતો નથી. તેના માટે ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરી ગોળનો પાયો બનાવો અને તેમાં નાળિયેરનું ખમણ ઉમેરી દો. થોડો એલચી પાવડર ઉમેરી નાળિયેરના લાડુ બનાવી લો.
સુકામેવાની ચીક્કી
નાના બાળકોને સુકા મેવામાંથી બનેલી ચીક્કી સૌથી વધુ ભાવે એવી હોય છે. સુકામેવાની ચીક્કી બનાવી પણ સરળ છે અને તેમાં પોષક તત્વ પણ હોય છે. આ ચીક્કી બાળકો ખાશે તો તેમને નુકસાન પણ નહીં થાય..
અંજીર બરફી
અંજીર બરફી પણ શરીરને ફાયદો કરે છે અને તે ઘરમાં બધાને ભાવે એવી બનશે. તેના માટે અંજીરના ટુકડા કરી મિક્સરમાં ક્રશ કરી લો. અંજીરના મિશ્રણમાં પિસ્તા અને કાજુનો પાવડર અને સમારેલી કિસમિસ ઉમેરો. તમે ઈચ્છો તો તેમાં એલચી પાવડર પણ ઉમેરી શકો છો. બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને પછી ઘી થી ગ્રીસ કરેલી પ્લેટમાં પાથરી દો. બરફી સારી રીતે સેટ થાય તે માટે તેના પર વજન રાખી દેવું. ત્યાર પછી બરફીના ટુકડા કરી સ્ટોર કરી લો.
નાળિયેર અને ખજુરની મીઠાઈ
અંજીરની બરફીની જેમ જ ખજૂર અને નાળિયેરની મીઠાઈ પણ બને છે. ખજૂરનું મિશ્રણ તૈયાર કરી તેમાં નાળિયેર ઉમેરીને નાના નાના લાડુ બનાવી લેવા. આ મીઠાઈ બનાવવામાં પણ સમય નહીં લાગે અને નાના બાળકોથી લઈને ઘરના વડીલોને પણ ખૂબ જ ભાવશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)