)
Best Time for Dinner: આજની વ્યસ્ત જીવનશૈલીમાં મોડે સુધી કામ કરવું સામાન્ય વાત છે. કામના કારણે લોકોના ખાવા પીવાના સમય પણ રોજ બદલે છે. આજના સમયમાં સ્થિતિ એવી છે કે મોટાભાગના લોકો રાત્રે 9 પહેલાં પણ જમી શકતા નથી. કેટલાક લોકો તો ઓફિસથી જ 9 વાગ્યે આવે છે અને પછી મોડી રાત્રે ભોજન કરે છે. મોડી રાત્રે જમવું સ્વાસ્થ્ય માટે સૌથી ખરાબ છે. હેલ્થ એક્સપર્ટ તો એવું જણાવે છે કે જો રાતનું ભોજન સાંજે 7:00 વાગ્યા પહેલા કરી લેવામાં આવે તો શરીર નિરોગી રહી શકે છે. સાંજે 7:00 વાગ્યા પહેલા જો જમી લેવામાં આવે તો શરીરને કેટલા ફાયદા થાય છે આજે તમને જણાવીએ.
રાત્રે જમવાનો યોગ્ય સમય
રાતનું ભોજન અને સુવાના સમય વચ્ચે ઓછામાં ઓછા ચાર કલાકનો ગેપ હોય તે જરૂરી છે. તેનાથી શરીર ભોજનને સારી રીતે પચાવી શકે છે અને ઊંઘ પણ સારી. જો તમે રાત્રે 9:00 વાગ્યા સૂવાના હોય તો રાત્રે 7 વાગ્યા પહેલા જમી લેવું યોગ્ય રહે છે. જો સાંજે 7:00 વાગ્યા સુધીમાં રાતનું ભોજન કરી લેવામાં આવે તો શરીરને નીચે દર્શાવ્યા અનુસારના ફાયદા થવા લાગે છે.
7 વાગ્યા પહેલા ડિનર કરવાથી થતા ફાયદા
1. રાત્રે જલદી જમી લેવાથી શરીર ભોજન સારી રીતે પચાવી શકે છે. રાત્રે મોડું જમવામાં આવે તો પાચનમાં સમસ્યા ઊભી થાય છે અને અપચો, એસીડીટી જેવી તકલીફ થઈ શકે છે.
2. સાંજે સાત વાગ્યા પહેલા જમી લેવાથી ઓવરઇટિંગ કરવાથી બચી શકાય છે. તેનાથી કેલરી ઇન્ટેક પણ ઘટે છે અને વજન આપોઆપ ઘટી શકે છે.
3. મોડી રાત્રે જમવાથી ઊંઘ બરાબર આવતી નથી. પેટ ભરેલું હોવાથી ઊંઘમાં સમસ્યા થાય છે. જો તમે 7:00 વાગ્યા સુધીમાં જમી લેશો તો પાચન સારી રીતે થઈ જશે અને પછી ઊંઘ શાંતિથી આવશે.
4. મોડી રાત્રે ભોજન કરવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી શકે છે હૃદય રોગનું જોખમ વધે છે અને ડાયાબિટીસના કારણે બ્લડ સુગર પણ વધી શકે છે. જો 7 વાગ્યા સુધીમાં જમી લેવામાં આવે તો હૃદય સ્વસ્થ રહે છે અને બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહી શકે છે.
5. રાત્રે જલદી જમી લેવાથી મેટાબોલિઝમ સારું રહે છે. તેના કારણે વજન વધવાનું જોખમ ઊભું થતું નથી..
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)