)
Toilet smell in Rainy Season: ચોમાસા દરમિયાન ઘરની સાફ સફાઈનું કામ વધી જાય છે. કારણ કે ચોમાસામાં વાતાવરણમાં ભેજ વધારે હોય છે આ સમયે જો ઘરમાં જરા પણ ગંદકી રહી જાય તો ખરાબ સ્મેલ તરત આવવા લાગે છે. આ સમસ્યા સૌથી વધારે ટોયલેટ બાથરૂમમાં રહે છે. ભેજવાળા વાતાવરણના કારણે ટોયલેટમાંથી સતત ભેજની વાસ આવતી રહે છે. ટોયલેટનો દરવાજો ખુલે કે આ વાસ આખા ઘરમાં પ્રસરી જાય છે જેના કારણે ઘરનું વાતાવરણ ખરાબ થઈ જાય છે.
ટોયલેટ-બાથરુમમાંથી આવતી ભેજની વાસને દૂર કરવા માટે અલગ અલગ સ્પ્રે પણ મળે છે પરંતુ તેની અસર પણ લાંબા સમય સુધી રહેતી નથી. આ સ્થિતિમાં તમે કેટલાક સરળ ઉપાય અપનાવીને ભેજની વાસથી છુટકારો મેળવી શકો છો. સાથે જ ટોયલેટને બેક્ટેરિયા ફ્રી પણ બનાવી શકો છો. આજે તમને આવી જ કેટલીક ઉપયોગી ક્લિનિંગ ટિપ્સ વિશે જણાવીએ.
ભેજની વાસ દૂર કરવાના અસરદાર ઉપાય
બેકિંગ સોડા
ચોમાસા દરમિયાન ટોયલેટમાંથી વાસ આવવી નોર્મલ છે તેને દૂર કરવા માટે બેકિંગ સોડા નો ઉપયોગ કરી શકો છો. બેકિંગ સોડા નો ઉપયોગ કરવાથી ટોયલેટના બેક્ટેરિયાનો પણ નાશ થઈ જશે. એના માટે રાત્રે ટોયલેટની આસપાસ અને ટોયલેટ સીટ પર બેકિંગ સોડા છાંટી દેવો. આખી રાત બેકિંગ સોડાને રહેવા દો અને સવારે ટોયલેટ સાફ કરી લો. આ ઉપાય અઠવાડિયામાં બે વખત જરૂર કરો તેનાથી ભેજની વાત આવતી બંધ થઈ જશે.
એક્સપાયર્ડ દવાઓ
ઘરમાં જો એવી દવાઓ પડી હોય જે એક્સપાયર થઈ ગઈ હોય તો તેને ફેંકવાના બદલે સાચવી રાખો. આ દવાઓ ટોયલેટ સાફ કરવામાં કામ લાગશે. એક્સપાયર્ડ દવાઓને એક વાટકીમાં લઈ તેમાં પાણી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લો. આ દવાઓના મિશ્રણમાં હળદર, મીઠું અને વિનેગર પણ મિક્સ કરો. તૈયાર કરેલા મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે આ મિશ્રણને ટોયલેટની આસપાસ અને બાથરૂમમાં પણ સીંકની આસપાસ છાંટી દો. આમ કરવાથી બધા જ બેક્ટેરિયા પણ મરી જશે અને વાસ આવવાનું પણ બંધ થઈ જશે.
કોફીનો કરો ઉપયોગ
ટોયલેટમાંથી ભેજ અને વાસની સમસ્યા દૂર કરવી હોય તો કોફીનો ઉપયોગ પણ કરી શકો છો. એક્સપાયર્ડ કોફી કે બોટલમાં જામી ગયેલી કોફીને ફેકવાને બદલે એક બાઉલમાં કાઢીને ટોયલેટમાં રાખી દો. કોફીની સ્મેલથી ભેજની સ્મેલ દૂર થઈ જશે. કોફી ટોયલેટ ફ્રેશનર જેવું કામ કરશે.
ટોયલેટ બાથરૂમને આ ટિપ્સની મદદથી સાફ કરવાની સાથે ટોયલેટમાં એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ પણ કરી શકો છો. એક્ઝોસ્ટ ફેન નો ઉપયોગ કરવાથી ફ્રેશ એરનું સર્ક્યુલેશન થતું રહેશે અને ભેજની સ્મેલ દૂર થતી રહેશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)