ગુજરાત પર વાવાઝોડાનું સંકટ! તોફાની પવન સાથે 10થી 20 ઈંચ ખાબકશે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel Forecast: ભરઉનાળે આવેલા માવઠા બાદ જગતના તાતના માથે વધુ એક આફત આવી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે, ખેડૂતોના પાકનો સત્યાનાશ વળી જવાનો છે. એક તરફ કમોસમી વરસાદે ખેડૂતોના પાક બગાડી નાંખ્યો છે. ત્યાં બીજી તરફ હવે થોડા ઘણાં બચેલા પાકનો પણ કચ્ચરઘાણ કાઢવા માટે આવી રહ્યું છે. તોફાની વાવાઝોડું ત્યારે ચોમાસા પહેલા આવી રહેલું વાવાઝોડું ગુજરાતમાં કેટલો વેરશે વિનાશ.
ગુજરાતના ખેડૂતો પર માવઠાના માર બાદ હવે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. અંબાલાલ પટેલનો દાવો છે કે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જેમાં અનરાધાર વરસાદ તો થશે જ, સાથે જ 100 કિમી પ્રતિકલાકની ઝડપથી તોફાની પવન પણ ફૂંકાશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે, મુંબઈ-ગોવા પર બનેલી સિસ્ટમ ચક્રવાતમાં બદલાશે. 22મી મે સુધીમાં લો-પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે. 24થી 28 મે વચ્ચે ગુજરાત સુધી પહોંચી જશે વાવાઝોડું. મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઈંચ વરસાદ ખાબકશે.
દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂરની સ્થિતિ આવી શકે છે. ડાંગ, આહવા, વલસાડમાં 10થી 12 ઈંચ વરસાદ થશે. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ભારે વરસાદ થશે. 28 મે બાદ બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે. દક્ષિણ-પૂર્વના તટિય વિસ્તારમાં ભારે વરસાદ થશે. 100 કિમી પ્રતિકલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસા અંગે પણ આગાહી કરી છે. જો ચોમાસા પર વાવાઝોડાની અસર ઓછી થાય તો 28મી મે સુધીમાં કેરળના કાંઠે ચોમાસુ પહોંચશે. 3 જૂન સુધીમાં કેરળ-કર્ણાટકમાં ભારે વરસાદ થશે. 8 જૂન આસપાસ દરિયામાં પવનો બદલાતા વાદળો બંધાશે. 10 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે. 20 જૂન સુધીમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ થશે.
ગુજરાતમાં 20 જૂન સુધીમાં ચોમાસાનો વરસાદ શરૂ થશે. પરંતુ ચોમાસા પહેલા અરબી સમુદ્રમાં એક્ટિવ થનારી બે સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવે તેવી પુરી શક્યતા છે. ત્યારે જો ચોમાસા પહેલા આ ભયંકર વાવાઝોડું આવશે તો ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે.
એક તરફ ભરઉનાળે આવેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. તલ, બાજરી, જુવાર, કેરી, કેળા સહિતના પાકનો સત્યાનાશ વળી ગયો છે. ત્યારે થોડા ઘણા બચેલા પાક પર પાણી ફેરવવા માટે વાવાઝોડું આવી રહ્યું છે. ચોમાસાના આગમન પહેલા જ આવી રહેલું વાવાઝોડુ અનરાધાર વરસાદ લઈને આવશે, એટલે કે ગુજરાતના ખેતરો ફરી પાણીમાં જળસમાધિ લઈ લેશે ત્યારે ખેતરોમાં જળ ભરાવ થવાના કારણે ખેડૂતોના ઉનાળુ પાકને પણ ભારે નુકસાન થશે તે નક્કી છે.
Trending Photos