ગુજરાતની અનોખી ધૂળેટીની ઉજવણી, ગધેડા પર નીકળે છે સવારી
Junagadh News અશોક બારોટ/જુનાગઢ : જુનાગઢ નજીકના ધંધુસર ગામે ધુળેટીના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી છે. ધંધુસર ગામે આઝાદી પહેલાંથી "રા" ઉત્સવની અનોખી પરંપરા ચાલી રહી છે. ગામ લોકો બને છે "રા" ગર્દભ પર "રા" નું ફૂલેકું નીકળે છે. સંતાન ન થતાં હોય તેઓ "રા" ના દર્શનની માનતા રાખે છે. માનતા પૂરી થતાં બાળકને "રા" ના દર્શન કરાવાય છે. ગામની મહિલાઓ ફુલેકું નીકળે ત્યારે "રા" ને વધાવે છે. "રા" ને આપવામાં આવતી ભેંટ ગામમાં સેવાકાર્યમાં વપરાય છે.
જૂનાગઢ નજીકના ધંધુસર ગામે ધુળેટીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે, ધંધુસર ગામે આઝાદી પહેલાં થી "રા" ઉત્સવ ઉજવવાની અનોખી પરંપરા ચાલી આવે છે, એવી માન્યતા છે કે જેમને સંતાન પ્રાપ્તિ ન હોય તેઓ જો "રા" ની માનતા રાખે તો સંતાન પ્રાપ્તિ થાય છે અને બાળકને "રા" ના દર્શન કરાવાય છે, ગામના જ લોકો "રા" બને છે અને ગર્દભ પર બેસાડીને તેનું ફૂલેકું નીકળે છે.
માનતા પૂરી થઈ હોય તેવા માતા પિતા પોતાના સંતાનોને "રા" ના દર્શન કરાવે છે. ગામની મહિલાઓ ફુલેકું નીકળે ત્યારે "રા" ને વધાવે છે અને તેને ભેંટ આપે છે. ફુલેકાં માં "રા" ને આપવામાં આવતી ભેંટ ગામમાં સેવાકાર્યમાં વપરાય છે. વર્ષો જૂની પરંપરા આજે પણ ગામ લોકોએ જાળવી રાખી છે.
શહેર કરતાં ગામડામાં હોળીનું મહત્વ વધારે હોય છે, ગામડામાં હોળી અને પડવો એટલે કે ધુળેટીનું વિશેષ મહત્વ હોય છે, દરેક ગામમાં કોઈને કોઈ અલગ અલગ પરંપરા જોવા મળે છે, જૂનાગઢ નજીકના ધંધુસર ગામે પણ ધુળેટીની કાંઈક અલગ જ રીતે ઉજવણી કરવામાં આવે છે. ધુળેટીના દિવસે ગામ લોકો રામ મંદિરે એકત્રિત થાય છે ત્યાંથી કુંભારને ત્યાં જાય છે અને ગર્દભને કુમકુમ તિલક કરવામાં આવે છે, બાદમાં ગામના જ લોકો "રા" બને છે અને ગર્દભ પર બેસીને વાજતે ગાજતે તેનું ફુલેકું નીકળે છે.
સમગ્ર ગામમાં ફુલેકું ફરે છે, ફુલેકાં દરમિયાન જે કાંઈપણ રકમ ભેંટમાં મળી હોય છે તે રકમ ગામમાં ચાલતાં સેવાકાર્યોમાં વપરાય છે, ગૌશાળા માટે અથવા ધાર્મિક કાર્ય માટે આ રકમ વાપરવામાં આવે છે, સવાર થી બપોર સુધી આ ફુલેકું ગામમાં ફરે છે અને બપોરે ગામલોકો સાથે મળીને ભોજન કરીને છુટા પડે છે અને આ રીતે ધંધુસર ગામમાં ઘુળેટી પર્વ નિમિત્તે "રા" ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
Trending Photos