Love story Vijay Rupani: આ રીતે પ્રથમવાર મળ્યા હતા વિજય રૂપાણી અને અંજલી રૂપાણી, પહેલા મિત્રતા પછી થયો પ્રેમ

Written ByDhaval Gokani
Published: Jun 16, 2025, 02:35 PM IST|Updated: Jun 16, 2025, 02:35 PM IST

વિજય રૂપાણીનું જીવન માત્ર રાજનીતિ સુધી સીમિત નહોતું. તેમના પત્ની અંજલી રૂપાણી સાથે પણ તેમનો સંબંધ સાદગી અને વિશ્વાસની મિસાલ રહ્યો. આજે અમે તમને સ્વર્ગસ્થ વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલિ રૂપાણીની પ્રેમ કહાની વિશે જણાવીશું.
 

1/5

12 જૂન 2025ના અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા. જેમાં તેમનું નિધન થયું હતું. આજે રાજકીય સન્માન સાથે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ત્યારે અમે તમને વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલી રૂપાણીની પ્રેમ કહાની વિશે જણાવીશું.

 વિજય રૂપાણીનું બાળપણ2/5

વિજય રૂપાણીનું બાળપણ

વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ મ્યાનમાર (તે સમયે બર્મા)ની રાજધાની રંગૂનમાં થયો હતો. એવું કહેવાય છે કે 1960માં તેમના પિતા રાજકોટ પાછા ફર્યા હતા. રૂપાણી જૈન વાણિયા સમુદાયના છે. તેમના પિતા એક ઉદ્યોગપતિ હતા. ગુજરાતમાં આવ્યા પછી, તેમનો અભ્યાસ અહીંથી શરૂ થયો. વિદ્યાર્થી જીવનમાં ABVPમાં જોડાયા. 

 આ રીતે શરૂ થઈ વિજય રૂપાણી અને અંજલીબેનની લવસ્ટોરી3/5

આ રીતે શરૂ થઈ વિજય રૂપાણી અને અંજલીબેનની લવસ્ટોરી

વિજય રૂપાણીની જેમ અંજલીબેન પણ પહેલાથી જ રાજકારણ સાથે જોડાયેલા હતાં અને જનસંઘ માટે કામ કરતાં હતા. વિજયભાઈ કાર્યકર કમ સંઘના જૂના પ્રચારક. સીતેરના દાયકાની આ વાત છે. એ સમયે એવી પ્રથા કે, પ્રચારક જ્યાં પણ પ્રચારાર્થે જાય ત્યાં તેણે મુખ્ય કાર્યકરના ઘરે જમવા જવાનું અને આ પ્રથાને લીધે જ તેઓ અંજલીબહેનના સંપર્કમાં આવ્યા. બન્યું એમાં એવું કે વિજયભાઈ અવારનવાર પ્રચાર માટે અમદાવાદ આવે. અંજલીબહેનના પપ્પા પણ સંઘના જૂના અને મુખ્ય કાર્યકર, જેને કારણે વિજયભાઈ તેમને ત્યાં અનેક વખત જમવા ગયા અને એ લંચ/ડ‌િનર-ડિપ્લોમસીએ જ વિજયભાઈ અને અંજલીબહેન વચ્ચે પહેલાં ઓળખાણ અને પછી પ્રેમનો પ્રારંભ કરાવ્યો. અલબત, વિરોધ અને વિદ્રોહ વિના, વડીલોની સહમતી-મંજૂરી સાથે બન્નેએ પછી વિધિવત મૅરેજ કર્યા. વ‌િજયભાઈ આ લવસ્ટોરી વિશે વધારે કહેવા રાજી નથી પણ અંજલીબહેન કહે છે, ‘સહમત‌િ હોય એવા સમયે લવમૅરેજને એરેન્જ-લવ મૅરેજનું બિરુદ મળતું હોય છે. અમારી સાથે પણ એવું જ થયું હતું.’

 રાજકીય સફર4/5

રાજકીય સફર

વિજય રૂપાણીએ 1971મા જનસંઘથી પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી. ABVP માં પણ વિજયભાઈએ કામ કર્યું હતું. તેઓ હંમેશા આરએસએસ સાથે જોડાયેલા રહ્યાં. કેશુભાઈ પટેલે તેમને ચૂંટણી ઘોષણાપત્ર સમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા. 2007 અને 2012મા સૌરાષ્ટ્રમાં ભાજપને મોટી જીત અપાવવામાં પણ રૂપાણીની ભૂમિકા રહી હતી. વર્ષ 2014માં વિજય રૂપાણીએ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડી અને જીત મેળવી હતી. 2016મા આનંદીબહેને રાજીનામુ આપતા વિજય રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. રૂપાણી 2021 સુધી આ પદ પર રહ્યા હતા. 

 ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ બન્યા5/5

ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ બન્યા

જ્યારે નવેમ્બર 2014માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેમના મંત્રીમંડળનો વિસ્તાર કર્યો, ત્યારે રૂપાણીને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું. તેમને પરિવહન, પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. તો વિજય રૂપાણી ફેબ્રુઆરી 2016 થી ઓગસ્ટ 2016 સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ પણ રહ્યા. બાદમાં 7 ઓગસ્ટ 2016ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને 2021 સુધી મુખ્યમંત્રી રહ્યા.