Photos: 7 દિવસ પહેલા જ થયા લગ્ન અને પત્ની સામે પતિને ગોળી મારી...આ 5 પત્નીઓએ નજર સામે પતિને ગુમાવ્યા
મંગળવારનો દિવસ દેશ માટે આઘાતજનક રહ્યો. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરીને કત્લેઆમ મચાવી. પર્યટકો અને તેમાં પણ હિન્દુઓને ટાર્ગેટ કરીને હત્યાકાંડને અંજામ આપ્યો. આ આતંકી હુમલામાં 27 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં એવા પણ કેટલાક લોકો હતાં જેમને તેમના પત્ની અને બાળકોની સામે જ મોતને ઘાટ ઉતારી દેવાયા. આ પીડા ખુબ જ દર્દનાક અને ન રૂઝાય તેવા ઘા બની છે. આ મહિલાઓની દર્દનાક આપવીતિ સાંભળીને તમારૂ લોહી ઉકળી જશે.
લેફ્ટેનન્ટ વિનય નરવાલ
આતંકી હુમલામાં હરિયાણાના કરનાલના લેફ્ટેનન્ટ વિનય નરવાલ (26)નું મોત થયું. હજુ તો હમણા જ 7 દિવસ પહેલા હિમાંશી સાથે તેમના લગ્ન થયા હતા. 2 દિવસ પહેલા વિનય અને હિમાંશી હનીમૂન માટે જમ્મુ કાશ્મીર આવ્યા હતા. મંગળવારે બેસરન ઘાટીમાં ફરી રહ્યા હતા. તે વખતે આતંકીઓએ વિનય પર ફાયરિંગ કર્યું. જેમાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું. પત્ની હિમાંશી સામે જ આ હત્યાકાંડને અંજામ અપાયો. હિંમાશીનો એક વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહે છે કે તે પતિ સાથે ભેલપૂરી ખાતી હતી અને એક માણસ આવ્યો અને કહ્યું કે આ મુસ્લિમ નથી, પછી ગોળી મારી.
શુભમ દ્વિવેદી
આતંકીઓએ કાનપુરના શુભમની પણ તેની પત્ની એશાન્યા સામે જ ગોળી મારીને હત્યા કરી. એશાન્યા બૂમો પાડતી રહી અને આતંકીઓને વિનંતી કરતી રહી કે મને પણ ગોળી મારો પરંતુ આતંકીઓએ કહ્યું કે અમે તને ગોળી નહીં મારીએ. તમે સરકારને જઈને બતાવો. આ વાત એશાન્યાએ પોતે પરિવારના લોકોને જણાવી હતી. શુભ અને તેની પત્ની સાથે પરિવારના 11 લોકો જમ્મુ કાશ્મીર ફરવા માટે આવ્યા હતા.
આઈબી ઓફિસર મનીષ રંજન
આતંકી હુમલામાં બિહારના રહીશ અને આઈબી ઓફિસર મનીષ રંજનનું પણ મોત થયું. તેઓ 2 વર્ષથી આઈબીના હૈદરાબાદ ઓફિસમાં સેક્શન ઓફિસરના પદે પોસ્ટેડ હતા. મનીષને પત્ની અને 2 બાળકોની સામે જ ગોળી મારી દીધી. રંજનના પત્ની અને બાળકો સુરક્ષિત છે.
શૈલેષભાઈ કળથિયા
આ હુમલામાં ગુજરાતના પણ 3 લોકોના જીવ ગયા. જેમાં સુરતના શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયાનું મોત થયું. શૈલેષ મૂળ અમરેલીનો વતની હતો અને તેમનો પરિવાર સુરતમાં રહેતો હતો, જ્યાંથી બેંકની નોકરીના કારણે તે છેલ્લા એક વર્ષથી મુંબઈમાં રહેતા હતા. 44 વર્ષીય શૈલેષ તેની પત્ની શીતલ, પુત્રી નીતિ અને પુત્ર નક્ષત્ર સાથે મુંબઈથી કાશ્મીર ગયા હતા. પરંતુ મંગળવારે પહેલગામમાં ફરતી વખતે કંઈક એવું બન્યું જેણે આ સુખી પરિવારની ખુશીને ચકનાચૂર કરી દીધી. જ્યારે તે પહેલગામમાં ઘોડેસવારીનો આનંદ માણી રહ્યા હતા ત્યારે આ આતંકવાદી હુમલો થયો અને તેમાં શૈલેષને ગોળી વાગી હતી. તે દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા. તેમની પત્ની અને બાળકો સુરક્ષિત છે.
સુશીલ નથાનિયલ
ઈન્દોરના સુશીલ નથાનિયલ પણ પહેલગામ હુમલામાં માર્યા ગયા. તેમની પુત્રી આકાંક્ષાને ગોળી વાગતા ઘાયલ થઈ છે. સુશીલ 4 દિવસ પહેલા 21 વર્ષના પુત્ર ઓસ્ટિન ગોલ્ડ, 30 વર્ષની પુત્રી આકાંક્ષા અને પત્ની જેનિફર સાથે કાશ્મીર ફરવા ગયા હતા.
યતીશ પરમાર
ભાવનગરથી લગભગ 20 લોકો મોરારી બાપુની કથા સાંભળવા માટે કાશ્મીર ગયા હતા. જેમાં યતીશ પરમારનો પરિવાર પણ સામેલ હતો. યતીશ પત્ની કાજલ અને પુત્ર સ્મીત સાથે સુરેન્દ્રનગરથી જમ્મુ તાવી જતી ટ્રેનમાં મોરારીબાપુનું પ્રવચન સાંભળવા માટે ગયા હતા. આ દરમિયાન 22મીએ પહલગામ ફરવા ગયા જ્યાં આતંકીઓ નિશાન બનાવ્યા. આતંકીઓએ પતિ યતીશ પરમાર અને પુત્ર સ્મીત પર ગોળી ચલાવી.
Trending Photos