આગામી 48 કલાકમાં 'શક્તિ' સર્જી શકે છે ભારે વિનાશ, જાણો અંબાલાલ અને પરેશ ગોસ્વામીની આગાહી
Shakti Cyclone: અરબ સાગરમાં સર્જાયેલું 'શક્તિ' વાવાઝોડું હવે તીવ્ર બની ગયું છે, પરંતુ ગુજરાત માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી મુજબ આ વાવાઝોડું 6 ઓક્ટોબરના રોજ ગુજરાત તરફ આવતા પહેલા યુ-ટર્ન લેશે અને ગુજરાતની નજીક પહોંચતા જ તે નબળું પડી જવાની સંભાવના છે. જોકે, આ દરમિયાન 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

ચક્રવાત શક્તિને કારણે ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને આ સમયગાળા દરમિયાન દરિયામાં ન જવાની સલાહ આપી છે. ચક્રવાત "શક્તિ", અરબી સમુદ્રમાં એક તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિણમ્યું છે, જેમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, એમ અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે "શક્તિ", જે હવે તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિણમ્યું છે, તે અરબી સમુદ્રમાં વધુ આગળ વધી રહ્યું છે અને દ્વારકાથી લગભગ 420 કિલોમીટર દૂર કેન્દ્રિત છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 'શક્તિ' વાવાઝોડું કચ્છ તરફથી રાજસ્થાન તરફ ફંટાશે અને ગુજરાતમાં તેની અસર નહિવત રહેશે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય નિષ્ણાંત પરેશ ગોસ્વામીના મતે, આ વાવાઝોડું હાલ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે પરંતુ 5 ઓક્ટોબરે તે યુ-ટર્ન લઈને ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે.
દરિયાકાંઠા વિસ્તારોમાં અસર અને એલર્ટ

શક્તિ વાવાઝોડાની સંભવિત અસરને પગલે રાજ્યના દરિયાઈ વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. દરિયામાં ગયેલા માછીમારોને પણ તાત્કાલિક પરત બોલાવી લેવામાં આવ્યા છે. દ્વારકાના ઓખા અને સલાયા બંદર પર ભયજનક સિગ્નલ સ્વરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલ અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢના ચોરવાડ દરિયા કિનારે વાવાઝોડાની અસર વર્તાવાનું શરૂ થયું છે. સમુદ્ર કિનારે લંગારેલી નાની બોટો સમુદ્રમાં તણાઈને તરતી જોવા મળી હતી, જેના કારણે માછીમારોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. દીવ અને ઉના તાલુકાના દરિયા કિનારે માછીમારોને એલર્ટ કરી દેવાયા છે. 5 થી 7 ઓક્ટોબર દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં શક્તિ વાવાઝોડાની અસર વર્તાશે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરી છે.

જોકે, ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં મોટાભાગના જિલ્લાઓમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે. ચક્રવાતી તોફાનની અસરને કારણે, રવિવાર સુધી ગુજરાત-ઉત્તર મહારાષ્ટ્ર દરિયાકાંઠે અને પાકિસ્તાન દરિયાકાંઠે દરિયાની સ્થિતિ ખૂબ જ તોફાની રહેવાની ધારણા છે. હવામાન વિભાગે માછીમારોને મંગળવાર સુધી ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર, મધ્ય અરબી સમુદ્ર અને ગુજરાત-ઉત્તર મહારાષ્ટ્ર દરિયાકાંઠે ન જવા ચેતવણી આપી છે.
Trending Photos




