પહેલગામ હુમલાના તપાસ એજન્સીઓએ જાહેર કર્યા આતંકીઓના ફોટા; જુઓ કેવા દેખાતા હતા ચહેરા
Jammu Kashmir: ફરી એકવાર ધરતી પરના સ્વર્ગને રક્તરંજિત કરવામાં આવ્યું. ફરી એકવાર કાશ્મીરની ખૂબસુરત વાદીઓ ગોળીઓના અવાજથી ધણધણી ઉઠી. ફરી એકવાર પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા અને કરવામાં આવ્યો કાયરતાપૂર્ણ હુમલો. નાપાક ઈરાદાઓ સાથે કરાયેલો આ હુમલો પર્યટકો પર થયેલો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. જેમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મૃતકોમાં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. બીજી બાજુ પહલગામના આતંકીઓના ફોટા જાહેર કરવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓએ આતંકીઓના ફોટા જાહેર કર્યા છે.
પ્રસિદ્ધ બૈસરન ઘાટીમાં પ્રવાસીઓ ફરી રહ્યા હતા, કુદરીત સૌંદર્યનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે આ હુમલો કરવામાં આવ્યો. આતંકીઓ સેના જેવા યુનિફોર્મમાં આવ્યા હતા અને ગોળીબાર કર્યો. પ્રત્યક્ષદર્શીના દાવા અનુસાર લોકોનો ધર્મ પુછવામાં આવ્યો, તેમને કલમા પઢવાનું કહેવામાં આવ્યું અને આવું કરવામાં નિષ્ફળતા બદલ તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. જે પ્રવાસીઓ ખૂબસૂરત નજારો જોવા આવ્યા હતા તેમને મોતનો મંજર જોવો પડ્યો અને તેમના પરિવારજનોને ગુમાવવા પડ્યા.
આતંકીઓનો પહેલો સ્કેચ જાહેર કરાયા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 27 પ્રવાસીઓની હત્યા કરનારા આતંકવાદીઓનો પહેલો સ્કેચ સામે આવ્યો છે. સુરક્ષા એજન્સીઓએ આતંકીઓના સ્કેચ જાહેર કર્યા છે. આ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓને પસંદ કરીને માર્યા બાદ આ આતંકીઓ નજીકના પહાડી જંગલોમાં છુપાઈ ગયા છે. તેમને પકડવા માટે સુરક્ષા દળો દ્વારા સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન TRFએ લીધી છે. ઇન્ટેલિજન્સે કહ્યું છે કે લશ્કરનો સૈફુલ્લાહ માસ્ટરમાઇન્ડ છે. આખા દેશ અને દુનિયાભરમાં આ આતંકી હુમલાની ટીકા થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનો વિદેશ પ્રવાસ ટૂંકાવીને ભારત પર ફર્યા અને એરપોર્ટ પર જ મીટિંગ કરી ઘટનાની માહિતી મેળવી. કેન્દ્રીય ગૃહમંત્રી હુમલા બાદ મંગળવારે જ શ્રીનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઉચ્ચ સ્તરીય બેઠક કરી, આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને પહલગામની મુલાકાત લીધી. નાણામંત્રી પણ તેમનો વિદેશ પ્રવાસ રદ કરી પરત ફરી રહ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ યૂએસ પ્રવાસથી પરત ફરી રહ્યા છે. આખો દેશ નિઃશબ્દ છે, શોકમાં છે, સ્તબ્ધ છે અને એક જ માંગ કરી રહ્યો છે કે, આ હરકત કરનાર આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવે.
આતંકવાદીઓએ એકે-47થી ફાયરિંગ કર્યું
કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓ પાસે AK-47 રાઈફલ્સ હતી, જેનાથી તેમણે ફાયરિંગ કર્યું. તેમજ બે આતંકીઓ પશ્તો ભાષામાં વાત કરી રહ્યા હતા. આ આતંકવાદીઓ કયા માર્ગથી પહેલગામ પહોંચ્યા તે પણ ખુલાસો થયો છે. સુરક્ષા દળો સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ આતંકવાદીઓ લગભગ 2 અઠવાડિયા પહેલા ભારતીય સરહદમાં ઘૂસ્યા હતા. ત્યારબાદ તે રાજૌરી અને વાધવન થઈને પહેલગામ પહોંચ્યા.
સ્થાનિક લોકોને શંકાસ્પદ લોકોની ઓળખ કરવામાં મદદ કરવા માટે આ વિસ્તારમાં આતંકવાદીઓના સ્કેચ વ્યાપકપણે જાહેર કરવામાં આવી રહ્યા છે. તપાસ એજન્સીઓ હવે આ શકમંદોના છુપાયેલા સ્થળો અને સંપર્કોની તપાસમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાની વિંગ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે કે TRF દ્વારા લેવામાં આવી છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલગામ હુમલામાં બે વિદેશી અને બે સ્થાનિક આતંકવાદીઓ સામેલ હતા.
સૂત્રોએ જણાવ્યું કે પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ સૈફુલ્લા ખાલિદ છે. તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માંથી આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવે છે. તેનું સ્થાન રાવલકોટ હોવાનું કહેવાય છે. સૈફુલ્લાહે એક મહિના પહેલા હુમલાની ચેતવણી પણ આપી હતી. આનો 2019નો એક વીડિયો પણ વાયરલ થયો હતો. આ વીડિયોમાં સૈફુલ્લાએ કહ્યું હતું કે કાશ્મીર મુદ્દાને ઠંડો પડવા દેવો જોઈએ નહીં.
Trending Photos