)
Astrology Predictions: કાનખજૂરો તમે પણ જોયો હશે અને ઘણી વખત તમારા ઘરમાંથી પણ નીકળ્યો હશે. વરસાદી વાતાવરણમાં રસોડાની સિંકમાંથી, બાથરૂમની સીંકમાંથી, ટોયલેટમાં કે બાથરૂમના વેન્ટિલેશનમાંથી કાનખજૂરા ઘરની અંદર આવી જાય છે. ઘણા લોકો કાનખજૂરાથી એટલા ડરતા હોય છે કે તેને મારી નાખે છે. કાનખજૂરાને લઈને એવું માનવામાં આવે છે કે જો રાત્રે સૂતી વખતે કાનખજૂરો કાનમાં ઘૂસી જાય તો તે કાન કોતરી નાખે છે. તેથી લોકો ઘરમાં કાનખજુરાને જોઈને તેને મારી નાખે છે. પરંતુ જો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો કાનખજૂરો ઘરમાં નીકળે તેનો ખાસ અર્થ હોય છે. આ જીવ સંબંધિત શુભ અશુભ સંકેતોનો ઉલ્લેખ જ્યોતિષશાસ્ત્રમાં કરવામાં આવ્યો છે જે આજે તમને જણાવીએ.
ઘરમાં કાનખજુરો દેખાવો શુભ કે અશુભ ?
રાહુનું સ્વરૂપ ગણાય છે કાનખજુરો
જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાનખજુરાને રાહુનું રૂપ માનવામાં આવે છે. કાનખજૂરો ઘરમાં નીકળે અથવા તો સપનામાં દેખાય તો તેના શુભ અને અશુભ બંને પ્રકારના પ્રભાવ જોવા મળે છે. જેમકે જો તમને ઘરમાં અચાનક કાનખજુરો દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે નજીકના ભવિષ્યમાં તમારી સાથે કોઈ સારી ઘટના બનવાની છે.
માન્યતા છે કે ઘરમાં જે જગ્યાએ મંદિર રાખ્યું હોય ત્યાં આસપાસ કાનખજુરો ફરતો જોવા મળે તો તે એ વાતનો સંકેત ગણાય છે કે તમને જીવનમાં મોટી ખુશખબરી મળવાની છે જેની તમે ઘણા સમયથી રાહ જોતા હતા. તમારા ઘરમાં સમૃદ્ધિનું આગમન પણ થઈ શકે છે. જો ઘરમાં અચાનક કાનખજુરો દેખાય અને પછી ખબર પણ ન પડે કે તે ક્યાં ગયો? તો તેનો અર્થ છે કે હવે તમને તમારું ભાગ્ય સાથ આપવા લાગશે.
ટોયલેટમાં કાનખજૂરો અશુભ સંકેત
તેનાથી વિરુદ્ધ જો બાથરૂમ કે ટોયલેટમાંથી કાનખજુરો અચાનક નીકળે તો તેને અશુભ ગણવામાં આવે છે.. કહેવાય છે કે તે કુંડળીમાં રાહુની ખરાબ દશા હોવાનો સંકેત કરે છે. સપનાની વાત કરીએ તો સપનામાં કાનખજૂરો દેખાય તો તે શુભ સંકેતો છે માન્યતા છે કે સપનામાં કાનખજૂરો દેખાય તો જૂની બીમારીથી મુક્તિ મળવાનો સંકેત ગણાય છે અથવા નોકરીમાં લાભ થવાનો સંકેત કરે છે.
સપનામાં મરેલો કાનખજૂરો દેખાવાનો અર્થ
જો સપનામાં મરેલો કાનખજુરો દેખાય તો તે અશુભ ગણાય છે. તેનો અર્થ થાય છે કે ભવિષ્યમાં કોઈ મોટી સમસ્યા આવી શકે છે. જો સપનામાં તમે એવું જુઓ કે તમે પોતે કાનખજૂરાને મારી રહ્યા છો તો તે સમસ્યાનું નિવારણ થવાના સંકેત ગણાય છે. સપનામાં કાનખજુરો દેખાય અને એક મિનિટમાં જ ગાયબ થઈ જાય તો સમજી લેવું કે ભાગ્યના બંધ દરવાજા ખુલવાના છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)