)
Kamdhenu Cow Murti: કામધેનુને હિંદુ પૌરાણિક શાસ્ત્રોમાં સુરભિ, નંદિની નામ પણ આપવામાં આવ્યા છે. કામધેનુ એક દિવ્ય ગાય છે જે મનુષ્યની બધી જ ઈચ્છાઓને પુરી કરી શકે છે. માનવામાં આવે છે કે કામધેનુનું પ્રાકટ્ય સમુદ્ર મંથનથી થયું હતું. ત્યારબાદ ઋષિ મુનિઓ સાથે કામધેનુનો વાસ થયો. શાસ્ત્રો અનુસાર કામધેનુના અલગ અલગ અંગોમાં દેવી-દેવતાઓ વાસ કરે છે.
આજના સમયમાં કામધેનુની મુર્તિ ઘરમાં રાખી પણ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આજે તમને જણાવીએ ઘરમાં કામધેનુની મૂર્તિ રાખવાથી કેવા લાભ થાય છે અને આ મૂર્તિ ઘરમાં ક્યાં રાખવી જોઈએ.
કામધેનુ મૂર્તિ રાખવાથી થતા લાભ
- વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કામધેનુની મૂર્તિ રાખવાથી વાસ્તુ દોષ દુર થાય છે. ઘરમાં સકારાત્મકતા આવે છે અને મનની ઈચ્છાઓ પૂરી થાય છે.
- જો કોઈ દંપત્તિને સંતાન પ્રાપ્તિમાં સમસ્યા આવી રહી હોય તો તેમણે કામધેનુ જે વાછરડા સાથે હોય તે મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ. માન્યતા છે કે તેનાથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય છે.
- ભૌતિક સુખ-સંપદા પ્રાપ્ત કરવા માટે કામધેનુ ગાય ઘરમાં રાખવી જોઈએ. કામધેનુની મૂર્તિ ઘરમાં રાખવાથી વ્યવસાય અને કરિયરમાં લાભ પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે.
- કામધેનુ વ્યક્તિની સાંસારિક ઈચ્છાઓ પુરી કરે છે અને આધ્યાત્મિક જીવનમાં પણ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. કામધેનુ મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરમાં વાતાવરણ શુદ્ધ અને પવિત્ર રહે છે.
ઘરમાં ક્યાં રાખવી કામધેનુ મૂર્તિ ?
વાસ્તુ અનુસાર કામધેનુ મુર્તિ રાખવાનું શુભ ફળ ત્યારે મળે છે જ્યારે તેને યોગ્ય દિશામાં રાખવામાં આવે. કામધેનુ મૂર્તિ ઘરમાં રાખવાની યોગ્ય દિશા ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન કોણ છે. સાથે જ જ્યાં પણ મૂર્તિ રાખવામાં આવે ત્યાં સાફ સફાઈનું ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ અવસર પર કામધેનુને ગંગાજળથી સ્નાન કરાવવું અને પૂજા પણ કરવી જોઈએ. જો ધ્યાનપૂર્વક કામધેનુ રાખવામાં આવે તો ઈચ્છા પૂર્તિ થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)