)
Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક વસ્તુમાં એક ખાસ ઉર્જા હોય છે. કેટલીક વસ્તુઓ સકારાત્મકતા વધારે છે તો કેટલીક વસ્તુઓ નકારાત્મક પ્રભાવ વધારી દેતી હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ સાથે વસ્તુની લેતી દેતી કરવામાં આવે છે ત્યારે આ ઊર્જાનો પ્રભાવ આપણા પર પણ પડી શકે છે. ખાસ કરીને કોઈ પાસેથી વસ્તુ ઉધાર લેવાની આદત ઘણી વખત જીવનમાં સમસ્યા અને માનસિક અશાંતિનું કારણ બની શકે છે. કોઈ પાસેથી લીધેલી વસ્તુ જીવનની સ્થિરતા, સંબંધો, ધન, સમૃદ્ધિ અને કારકિર્દી પર પણ અસર કરી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને ઉધાર લઈને વાપરવાથી બચવું જોઈએ. આવી વસ્તુ ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે છે અને તેનો પ્રભાવ જીવન પર પડવા લાગે છે.
ઘડિયાળ
વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘડિયાળ વ્યક્તિના ભાગ્ય પ્રગતિ અને જીવનની ગતિને દર્શાવે છે. કહેવાય છે કે જે ઘડિયાળ તમે પોતાના કાંડા પર બાંધતા હોય તે ઘડિયાળ બીજા કોઈને આપવી અથવા તો બીજાની પહેરેલી ઘડિયાળ પહેરવી અશુભ હોય છે.. જ્યારે તમે તમારી ઘડિયાળ કોઈને આપો છો તો તમારી ઉર્જા અને સારો સમય પણ તેને આપી દો છો. તમારી ઘડિયાળ જે પણ વ્યક્તિ પહેરે છે તેની સારી કે ખરાબ જે પણ ઉર્જા હોય તેનો પ્રભાવ તમારા જીવન પર પડવા લાગે છે. જો નકારાત્મકતા વધી જાય તો તેના પ્રભાવથી કામમાં બાધા આવી શકે છે પ્રગતિ અટકી જાય છે અને સંબંધોમાં પણ સમસ્યા આવી શકે છે.
રૂમાલ
રૂમાલ વ્યક્તિગત ઊર્જા સંબંધિત વસ્તુ છે. તે વ્યક્તિની ભાવના અને માનસિક સ્થિતિને દર્શાવે છે. રૂમાલ વ્યક્તિની પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારની ઊર્જાને પોતાનામાં રાખે છે. જ્યારે રૂમાલ તમે કોઈને આપો છો અથવા તો કોઈનો રૂમાલ રાખીને તેને યુઝ કરો છો તો તેની નકારાત્મક ઊર્જા પણ તમારી સાથે જોડાઈ શકે છે. કોઈનો રૂમાલ લેવાથી સંબંધોમાં ગેરસમજ, વિવાદ, તણાવ અને વિશ્વાસની ખામી થઈ શકે છે.
સાવરણી
સાવરણી ફક્ત સફાઈનું સાધન નથી, પરંતુ ઘરની બરકત અને લક્ષ્મી સંબંધિત વસ્તુ ગણાય છે. બીજાની સાવરણીનો ઉપયોગ કરવાથી તેના ઘરની નકારાત્મક ઊર્જા તમારા ઘરમાં આવી શકે છે અને તેના લીધે બરકત ઘટવા લાગે છે. બીજાની સાવરણી ઉપયોગમાં લેવાથી ધન સંબંધિત સમસ્યા વધી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી માતા લક્ષ્મી પણ નારાજ થઈ શકે છે. બીજાની સાવરણી રાખવાથી ખર્ચ વધે છે અને ઘરમાં કલેશ પણ થવા લાગે છે.
સફેદ વસ્તુઓ
વાસ્તુશાસ્ત્ર અનુસાર સાંજનો સમય ઊર્જાના પરિવર્તનનો સમય હોય છે. આ સમયે અન્ય પાસેથી દૂધ, દહીં, ખાંડ, ચોખા કે મીઠા જેવી સફેદ વસ્તુ લેવી અશુભ ગણાય છે. આ વસ્તુઓ શાંતિ, પોઝિટિવ ઊર્જા અને સમૃદ્ધિનું પ્રતીક હોય છે સાંજના સમયે અન્યના ઘરેથી આ વસ્તુ લેવી અથવા તો પોતાના ઘરેથી આ વસ્તુ દેવાથી બરકત ઘટવા લાગે છે અને આર્થિક સમસ્યાઓ વધી શકે છે. તેથી સફેદ વસ્તુ લેવા કે દેવાનો શુભ સમય સવારનો ગણાય છે સંધ્યા સમય પછી આવી વસ્તુઓ આપી કે લેવી અશુભ રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)