)
Vastu Tips: હિંદુ ધર્મમાં રસોડાને મંદિર સમાન પવિત્ર ગણવામાં આવ્યું છે. રસોડામાં માં અન્નપૂર્ણાનો વાસ હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર પણ મહિલાઓ રસોડામાં કેટલીક ભુલો કરે તો ઘરની સુખ-સમૃદ્ધિને અસર થાય છે. આ ભુલ કરવાથી ઘરમાં ક્લેશ થાય છે, નકારાત્મક ઊર્જા આકર્ષિત થાય છે. તેનાથી અલગ જો રસોડામાં કામ કરતી વખતે કેટલીક સામાન્ય વાતોનું પણ ધ્યાન રાખી લેવામાં આવે તો ઘરમાંથી અશાંતિ, દરિદ્રતા, દુ:ખ, બીમારી દુર થઈ શકે છે. તો ચાલો આજે તમને પણ જણાવીએ આ વાતો વિશે.
રસોડામાં જતા પહેલા સ્નાન કરો
ધાર્મિક માન્યતા અનુસાર સ્નાન કર્યા વિના રસોડામાં જવું અશુભ છે. આમ કરવાથી માં અન્નપૂર્ણાનું અપમાન થાય છે. તેથી સવારે સ્નાન કર્યા પછી જ રસોડામાં જવું જોઈએ.
ગંદા વાસણનો ઉપયોગ ન કરો
એઠા કે ગંદા વાસણનો ઉપયોગ ક્યારેય કરવો નહીં. તેનાથી સ્વાસ્થ્ય અને સુખ બંને ખરાબ થાય છે. રસોઈમાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. રાત્રે રસોડામાં એઠા વાસણ પણ રાખવા નહીં. રસોઈ બનાવી લીધા બાદ રસોડું ચોખ્ખું કરી લેવું જોઈએ.
શાંત અને પ્રસન્ન મનથી રસોઈ બનાવવી
કહેવાય છે કે જેવા ભાવ અને વિચારો સાથે ભોજન બને છે તેવા ભાવ ભોજનમાં આવે છે અને તે ભાવ ભોજન કરનારને પણ અસર કરે છે. તેથી જ ક્રોધમાં કે અશાંત મન હોય ત્યારે રસોઈ કરવી નહીં. તેનાથી નકારાત્મકતા ફેલાય છે. રસોઈ હંમેશા પ્રસન્ન મન અને શાંત ચિત્ત સાથે કરવી. તેનાથી ઘરમાં પ્રેમ અને સમૃદ્ધિ વધે છે.
રસોડું સ્વચ્છ રાખો
રસોડામાં વાસી ભોજન, કચરો એકત્ર ન થવા દો. તેનાથી નકારાત્મક ઉર્જા આકર્ષિત થાય છે. રોજ રસોડાની સફાઈ કરો. વાસી ભોજન સાચવવાનું બંધ કરો. કચરો પણ રોજ બહાર ફેંકી દો.
અન્નનું સમ્માન કરો
અન્નને દેવતાનું રુપ માનવામાં આવે છે. તેથી ભોજનનું અપમાન ક્યારેય કરવું નહીં. થાળીમાં જે પણ અન્ન હોય તેને પુરું કરો. ક્યારેય એઠું ભોજન છોડવું નહીં. ભોજન બરબાદ ન થાય તે વાતનું ધ્યાન રાખો. જો ભોજન વધે તો ગાય અથવા જરૂરીયાતમંદને ભોજન કરાવી દો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)