)
Hanuman Jayanti 2025: શાસ્ત્રો અનુસાર હનુમાન જયંતિનું વિશેષ મહત્વ છે. હનુમાન જયંતિ વર્ષમાં બે વખત ઉજવવામાં આવે છે એક ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે અને કારતક માસને ચતુર્દશીના દિવસે હનુમાન જયંતિ ઉજવાય છે. આ વર્ષે હનુમાન જયંતી 12 એપ્રિલ અને શનિવારે ધામધૂમથી ઉજવાઈ રહી છે. શનિવારે આવેલી આ હનુમાન જયંતિનું વિશેષ મહત્વ છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી ધન સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. સાથે જ બજરંગ બલીના આશીર્વાદ બની રહે છે. આજે તમને હનુમાનજીને પ્રસન્ન કરવાના કેટલાક સિધ્ધ ઉપાય વિશે જણાવીએ.
આર્થિક સ્થિતિમાં સુધારા માટેનો ઉપાય
હનુમાન જયંતીના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને તેમની વિશેષ પૂજા કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. હનુમાનજી સામે તેલનો દીવો કરો અને તેમાં બે લવિંગ ઉમેરો. આમ કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને ધનની આવક બની રહે છે.
હનુમાન કવચ
હનુમાન જયંતીના દિવસે હનુમાન કવચનો પાઠ કરવો જોઈએ. આ સિવાય હનુમાનજીને બુંદીનો પ્રસાદ ધરાવી અને ગરીબો તેમજ અસહાઈ બાળકોમાં વિતરણ કરો. આમ કરવાથી જીવનમાં સંપન્નતા આવે છે અને સારું આરોગ્ય પ્રાપ્ત થાય છે.
હનુમાનજીને ચોલા ચઢાવો
હનુમાન જયંતીના અવસર પર હનુમાનજીને સિંદૂર, મીઠું પાન અને ચોલા અર્પણ કરો. ત્યાર પછી હનુમાનજીના ચરણોમાંથી સિંદુર લઈ પોતાના માથે લગાવો. આમ કરવાથી બધા જ મનોરથ પૂર્ણ થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
શનિદોષ માટે ઉપાય
જો કોઈ વ્યક્તિના જીવનમાં શનિદોષ હોય કે પછી શનિની સાડાસાતી કે ઢૈયા ચાલતી હોય તો હનુમાન જયંતીના દિવસે પંચમુખી હનુમાન કવચનો પાઠ કરો. સાથે જ હનુમાનજીને પીળા ફૂલ ચઢાવી તેને જળમાં પ્રવાહિત કરી દો. આમ કરવાથી શનિ દોષથી મુક્તિ મળશે.
મનોકામના પૂર્તિ માટે ઉપાય
મનમાં કોઈ અધૂરી ઈચ્છા હોય તો તેને પૂરી કરવાના આશીર્વાદ મેળવવા હનુમાન જયંતીના દિવસે સુંદરકાંડનો પાઠ કરો. બજરંગ બલીની મૂર્તિ સામે ઘીના 6 દીવા કરો. ત્યાર પછી તેમની સામે બેસીને સુંદરકાંડનો પાઠ કરો. આ ઉપાયથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે અને બધી જ ઇચ્છા પૂરી થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)