)
Hanuman Puja: હિંદુ ધર્મમાં પવનપુત્ર હનુમાનની પૂજા તમામ પ્રકારની બાધા અને કષ્ટથી મુક્ત કરનાર ગણાવેલ છે. સનાતન પરંપરાની માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિના જીવનમાં ભયંકર કષ્ટ આવ્યું હોય તો તેને દુર કરવા તે હનુમાનજીનો આ મહાઉપાય અજમાવી શકે છે. આ ઉપાય કરવાથી સાધક પર હનુમાનજીની કૃપા વરસે છે અને તેના જીવનમાં આવેલું કષ્ટ દુર થઈ જાય છે.
ચિરંજીવી હનુમાનજીની આરાધના કરવા માટે સૌથી અસરકારક અને સરળ ઉપાય છે હનુમાન ચાલીસા કરવી. હનુમાન ચાલીસા તો ઘણા લોકો રોજ કરતા હોય છે. પરંતુ ખાસ ઈચ્છાપુર્તિ માટે હનુમાન ચાલીસા કરવાની હોય તો તેની વિધિ અલગ હોય છે. આ વિધિ અનુસાર હનુમાન ચાલીસા કરવામાં આવે તો કષ્ટભંજનની કૃપા વરસતા સમય નથી લાગતો.
ધાર્મિક માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિ રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે તો તેના પર હનુમાનજીની કૃપા વરસે છે. આજે તમને મનોકામના પૂર્તિ માટે હનુમાન ચાલીસા કેવી રીતે કરવી તે જણાવીએ.
હનુમાન ચાલીસા કરવાનો નિયમ
હનુમાન ચાલીસા કરતા પહેલા તન અને મનથી પવિત્ર થઈ જવું. ત્યારબાદ આસન પાથરી તેના પર બેસવું અને હનુમાન ચાલીસા કરવી. હનુમાન ચાલીસા શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવી. હનુમાન ચાલીસાનો પાઠ શનિવાર અથવા મંગળવારથી શરુ કરો તો વધારે સારું રહે છે. હનુમાન ચાલીસા કરનારે ક્રોધ અને કામુક વિચારથી બચવું જોઈએ.
હનુમાનજીનો મહાઉપાય
હનુમાન ચાલીસાના પાઠ કરતા પહેલા હનુમાનજીને લાલ પુષ્પ અને સિંદૂર અર્પણ કરો. હનુમાન ચાલીસા શરુ કરો તે પહેલા હનુમાનજી સામે તેલનો દીવો કરવાનું ભુલવું નહીં. ત્યારબાદ હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ ધરાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. જો તમે ઈચ્છો તો હનુમાન ચાલીસાની ચોપાઈનો 108 વખત જાપ પણ કરી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)