)
Mopping Vastu Tips: હિન્દુ ધર્મમાં દરેક કામને લઈને એક વિશેષ સમય જણાવેલો છે. વાસ્તુશાસ્ત્રમાં ઘર સંબંધિત આવા નિયમો વિશે વિસ્તારપૂર્વક દર્શાવેલું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દરેક ગતિવિધિનો સંબંધ ઘરની ઉર્જા સાથે હોય છે. ઘરની દિશા અને વસ્તુઓ તેમ જ સફાઈ સંબંધિત પણ પ્રભાવ વ્યક્તિના જીવન પર પડે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જે રીતે ઘરમાં ઝાડુ કરવાને લઈને નિયમો છે તે રીતે જ ઘરમાં પોતા કરવાના પણ ખાસ નિયમો છે. અમુક દિવસો અને અમુક સમય હોય છે જ્યારે પોતું કરવાનું ટાળવું જોઈએ. ખોટા સમયે અને ખોટા દિવસે ઘરમાં પોતુ કરવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને દેવી-દેવતા પણ અપ્રસન્ન થાય છે. તો ચાલો તમને જણાવીએ ઘરમાં પોતુ કરવા સંબંધિત નિયમો કયા છે. અને રોજ કરવાનો સૌથી ઉત્તમ સમય કયો છે.
ગુરુવારે પોતુ ન કરવું
વાસ્તુશાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે ઘરમાં પોતુ કરવું શુભ નથી. આ દિવસ બૃહસ્પતિદેવનો હોય છે જે જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ દિવસે ઘરમાં પોતા કરવાથી બૃહસ્પતિ નારાજ થાય છે અને ઘરમાં ધન અને સૌભાગ્યનો પ્રવાહ અટકી જાય છે..
એકાદશી
એકાદશીના દિવસે પણ પોતુ કરવું વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ નથી. આ દિવસ ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો અને ઉપવાસ કરવાનો છે આ દિવસે પોતુ કરવાથી ધાર્મિક વાતાવરણ પર ખરાબ અસર થાય છે અને પરિવારમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થઈ શકે છે.
કયા સમયે પોતુ કરવું અને કયા સમયે નહીં ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર પોતુ કરવાનો સૌથી શુભ સમય બ્રહ્મ મુહૂર્ત એટલે કે સૂર્યોદય થાય તેની એક કલાક પહેલાનો છે. બ્રહ્મ મુહૂર્ત પહેલા ઘરમાં સાફ-સફાઈ કરી લેવાથી સકારાત્મક ઉર્જા વધે છે. જો સવારે જલ્દી સાફ-સફાઈ કરવી શક્ય ન હોય તો સૂર્યોદય પછી તુરંત પોતું કરી લેવું જોઈએ. ઘરમાં બપોરે કે સૂર્યાસ્ત પછી પોતુ કરવાથી બચવું જોઈએ. બપોરે સૂર્યની ઉર્જા ચરમ સીમા પર હોય છે આ સમયે ઘરમાં સફાઈ કરવાથી ઉર્જા વ્યર્થ થાય છે. સૂર્યાસ્ત પછી ઘરમાં સાફ-સફાઈ કરવાથી સકારાત્મક ઉર્જા ઘટે છે.
ઘરમાં પોતુ કરવા માટે જો દિશાનું ધ્યાન રાખી શકાય તો પણ ઉત્તમ ગણાય છે. જેમકે પોતુ કરવાની શરૂઆત હંમેશા ઉત્તર દિશાથી કરવી જોઈએ અને પછી આખા ઘરમાં પોતુ કરવું. પોતુ કરવાના પાણીમાં મીઠું પણ ઉમેરી શકાય છે તેનાથી નેગેટિવિટી દૂર થાય છે. વસ્તુ અનુસાર જો રોજ ઘરમાં પોતુ કરતાં હોય તો સપ્તાહના ત્રણ દિવસ રવિવાર, મંગળવાર અને ગુરુવારે પોતુ કરો તો તેમાં પાણીમાં મીઠું ઉમેરવું નહીં.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)