)
Shardiya Navratri 2025: વર્ષમાં 4 વખત નવરાત્રી આવે છે. નવરાત્રી પર્વ પર માં દુર્ગા અને તેમના નવ સ્વરુપોની આરાધના કરવામાં આવે છે. દેવીને પ્રસન્ન કરવા માટે ભક્તો 9 દિવસ વિધિપૂર્વક વ્રત રાખે છે. નવરાત્રીના પાવન પર્વનો પ્રારંભ ઘરમાં ઘટસ્થાપનાથી થાય છે.
માન્યતા છે કે જો ઘરમાં નવરાત્રીમાં ઘટસ્થાપના ન થાય તો વ્રત કે પૂજા કર્યાનું પૂર્ણ ફળ મળતું નથી. તેથી નવરાત્રીના પહેલા દિવસે ઘરમાં ઘટસ્થાપના કરવાનું વિધાન છે. ઘટસ્થાપનાને લઈને લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે ઘટસ્થાપના માટીના ગરબાની કરવી કે અન્ય ધાતુના કળશની સ્થાપના પણ કરી શકાય ? તો ચાલો જાણીએ આ અંગે શાસ્ત્રો શું કહે છે.
નવરાત્રીમાં માટીના ગરબાનું મહત્વ
નવરાત્રીના પહેલા દિવસ શુભ મુહૂર્તમાં ઘટસ્થાપના કરવામાં આવે છે. પ્રાચીન પરંપરા અનુસાર આ સ્થાપના માટીના કળશ એટલે કે ગરબાની કરવી જોઈએ. કારણ કે ગરબો પવિત્ર હોય છે. માટીના કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં આંબાના પાન રાખી તેના પર નાળિયેર રાખી પૂજા કરવાની હોય છે. ગુજરાતમાં ઘરમાં ગરબા પધરાવી તેમાં દીવો કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે.
લોકો માટીના કળશને બદલે ધાતુના કળશની સ્થાપના કરતા હોય છે પરંતુ શાસ્ત્રો અનુસાર નવરાત્રીમાં કળશ માટીનો જ રાખવો ઉચિત ગણાય છે. માન્યતા છે કે ઘરમાં માટીના કળશની સ્થાપના કરવાથી માં દુર્ગા પ્રસન્ન થાય છે અને ઘર પરિવારને સુખ -સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
ધાર્મિક માન્યતા અનુસાર માટી પવિત્ર હોય છે. માટીનો કળશ પંચતત્વો એટલે કે જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને આકાશનું પ્રતીક છે તેવું માનવામાં આવે છે. આ તત્વો ઊર્જા અને શુભતા વધારે છે. માટીનો ગરબો સૃષ્ટિના નિર્માણનું પ્રતીક છે. તેથી જ ઘરમાં માટીના ગરબાની સ્થાપના કરવી શુભ ગણાય છે. માટીના ઘટ સ્થાપન વિનાની પૂજા અધુરી ગણાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)