)
Ghee Abhishek on Shivling: હિંદૂ ધર્મમાં શિવજીને સૌથી સરળ, દયાળુ અને શીઘ્ર પ્રસન્ન થઈ જતા દેવ માનવામાં આવે છે. શિવજીની પૂજા કરવા માટે સોમવારનો દિવસ ઉત્તમ ગણાય છે. સામાન્ય રીતે લોકો શિવાલયમાં જઈ શિવલિંગની પૂજા કરે છે. શિવલિંગની પૂજા કરતી વખતે કેટલાક નિયમોનું પાલન થાય તે વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. આ નિયમો વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.
શિવલિંગનો અભિષેક જળ સહિત અલગ અલગ વસ્તુઓથી કરવામાં આવે તેનું મહત્વ છે. આજે તમને શિવલિંગ પર ઘી ચઢાવવાથી થતા લાભ વિશે જણાવીએ. ગણતરીના દિવસોમાં શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે શ્રાવણ મહિનાના સોમવારે આ વિધિથી શિવ પૂજા કરશો તો જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન વધી શકે છે.
શિવલિંગ પર ઘી ચઢાવવાનું મહત્વ
શિવલિંગ પર ઘીનો અભિષેક કરવો અત્યંત શુભ ગણાય છે. પ્રાચીન માન્યતા અને શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને પ્રસન્ન કરવાનું સૌથી પવિત્ર માધ્યમ છે. આ પૂજા એવા લોકોને વિશેષ લાભ કરે છે જેઓ માનસિક તણાવ કે આર્થિક સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હોય.
શિવલિંગ પર ઘી કેવી રીતે ચઢાવવું ?
શિવલિંગ પર ઘી ચઢાવવા માટે સૌથી ઉત્તમ દિવસ સોમવાર છે. આ દિવસે સવારે સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી મંદિરમાં જવું. સૌથી પહેલા શિવલિંગ પર જળ અર્પણ કરો અને પછી પંચામૃતથી શિવજીનો અભિષેક કરો. ત્યારપછી ગાયનું શુદ્ધ ઘી શિવલિંગ પર ચઢાવવું. શિવલિંગ પર ઘી ધીરેધીરે મંત્ર જાપ કરતાં કરતાં ચઢાવવું જોઈએ.
શિવ પૂજા દરમિયાન કયા મંત્ર બોલી શકાય ?
શિવજીની પૂજા કરતી વખતે ॐ નમ: શિવાય, ॐ સોમેશ્વરાય નમ: અથવા મહામૃત્યુંજય મંત્ર બોલી શકાય છે.
શિવલિંગ પર ઘી અર્પણ કરવાથી થતા લાભ
- શિવલિંગનો ઘીથી અભિષેક કરવાથી મન શાંત થાય છે અને વિચારવાની ક્ષમતા વધે છે.
- દુર્ભાગ્ય દુર થાય છે. જીવનમાં વારંવાર આવતી સમસ્યાથી મુક્તિ મળે છે.
- જીવનમાં સકારાત્મક ઉર્જા વધે છે અને શુભ પરિવર્તન આવે છે.
- ઊંઘ સંબંધિત સમસ્યાથી રાહત મળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)