)
Shirdi Bomb Threat Mail : મહારાષ્ટ્રમાં સ્થિત દેશના સૌથી પ્રખ્યાત ધાર્મિક સ્થળ શ્રી સાંઈ બાબા મંદિરમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવે ભક્તોને મંદિરમાં ફૂલો, માળા, પ્રસાદ, ગુલદસ્તો અને શાલ ચઢાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ પ્રતિબંધ આગામી આદેશો સુધી અમલમાં રહેશે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં સાંઈ બાબા મંદિરને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આવી સ્થિતિમાં, આ નિર્ણય સાવચેતી રૂપે લેવામાં આવ્યો છે.
પ્રસાદ પર પ્રતિબંધ
વાસ્તવમાં, શિરડીના શ્રી સાંઈ બાબા સંસ્થાનને 2 મે, 2025 ના રોજ એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં શ્રી સાંઈ બાબાના મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાલના તણાવને ધ્યાનમાં રાખીને, દેશભરમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, સુરક્ષાના કારણોસર 11 મે, ૨૦૨૫ પછી આગામી આદેશો સુધી શ્રી સાંઈ બાબા મંદિરમાં માળા, ફૂલો, ગુલદસ્તો, પ્રસાદ, શાલ વગેરે લાવવા પર કડક પ્રતિબંધ રહેશે. ઉપરાંત, સાંઈ બાબા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ સાંઈ ભક્તોને સુરક્ષાની દ્રષ્ટિએ સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા સાંઈ બાબા મંદિરને ઈ-મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ અંગે માહિતી મળતા જ પોલીસ ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પોલીસે આખા મંદિર પરિસરની સંપૂર્ણ તપાસ કરી. જોકે, મંદિર અને તેની આસપાસ કોઈ શંકાસ્પદ વસ્તુ કે બોમ્બ મળ્યો નથી. આરોપીઓએ મંદિર ટ્રસ્ટના મેઇલ પર સાંઈ બાબા મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મોકલી હતી. શ્રી શિરડી સાંઈ બાબા સંસ્થાનના સીઈઓ ગોરક્ષ ગાદિલકરે જણાવ્યું હતું કે, “સંસ્થાન (ટ્રસ્ટ) પાસે પોતાનો સુરક્ષા સ્ટાફ છે. ઈમેલ મળ્યા પછી, અમારા સ્ટાફે અનેક પોલીસ ટીમો સાથે મળીને તપાસ હાથ ધરી હતી, પરંતુ કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું. તમને જણાવી દઈએ કે દેશભરમાંથી લાખો ભક્તો આ મંદિરની મુલાકાત લે છે.
પોલીસે મંદિરની સુરક્ષા વધારવા માટે સૂચનો આપ્યા
અહિલ્યાનગર જિલ્લા પોલીસે મંદિરની સુરક્ષા વધારવા માટે કેટલાક સૂચનો પણ આપ્યા છે. શુક્રવારે, મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે કહ્યું કે 11 મેથી મંદિરની અંદર માળા, પ્રસાદ અને નારિયેળ લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.