)
Pitru Paksha 2025: ગણતરીના દિવસોમાં જ પિતૃ પક્ષ શરૂ થશે. પિતૃ પક્ષ દરમ્યાન લોકો પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા અલગ અલગ પ્રકારના પુણ્ય કાર્ય અને દાન કરે છે. પિતૃ પક્ષ સંબંધિત કેટલાક નિયમો પણ છે જેને જાણી લેવા જોઈએ. પિતૃ પક્ષ દરમ્યાન શું કરવું અને શું નહીં તે ખૂબ જ મહત્વનું હોય છે. તો ચાલો તમને જણાવીએ પિતૃ પક્ષ દરમ્યાન કયા કામ કરવા જોઈએ અને કયા કામ કરવાથી બચવું જોઈએ.
પિતૃ પક્ષ 16 દિવસ સુધી રહે છે જેમાં અલગ અલગ તિથિ પર લોકો પોતાના પૂર્વ જ અને પિતૃઓની પૂજા કરે છે અને તેમની તૃપ્તિ માટે શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન જેવી વિશેષ પૂજાઓ કરે છે. પિતૃ પક્ષને શ્રાદ્ધ પક્ષ પણ કહેવાય છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન બ્રાહ્મણને ભોજન કરાવવાથી લઈને તર્પણ કરવાનું પણ વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ શ્રાદ્ધ કર્મ કરે તો તેને પિતૃદોષથી છુટકારો મળે છે તેથી પિતૃ પક્ષ પિતૃદોષથી મુક્તિ મેળવવાનો પણ અવસર હોય છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃ તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે આ સમય હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. તેથી જ આ સમય દરમિયાન કેટલાક કાર્ય કરવા અશુભ ગણાય છે.
પિતૃ પક્ષ દરમિયાન શું ન કરવું?
- પિતૃ પક્ષ દરમ્યાન ડુંગળી લસણ સહિત તામસીક વસ્તુઓનું સેવન કરવું નહીં.
- આ સમય દરમિયાન સગાઈ, લગ્ન કે માંગલિક કાર્ય કરવા પર પણ રોક હોય છે.
- માન્યતા છે કે પિતૃ પક્ષ દરમ્યાન નવા કપડા કે જૂતા પણ ખરીદવા નહીં.
- પિતૃ પક્ષ દરમ્યાન વાળ કાપવા, નખ કાપવા અને દાઢી કરવાથી પણ બચવું જોઈએ.
- પિતૃપક્ષ ચાલતો હોય ત્યારે સોનુ કે ચાંદી ખરીદવું પણ અશુભ માનવામાં આવે છે.
- પિતૃ પક્ષ દરમ્યાન ગૃહ પ્રવેશ કરવાની મનાઈ હોય છે. માન્યતા છે કે આમ કરવાથી અશુભ ફળ મળે છે.
પિતૃ પક્ષમાં શું કરવું?
- પિતૃ પક્ષમાં બ્રાહ્મણને ભોજન કરાવવું અને તેમને વસ્ત્રનું દાન કરવું તેમજ શ્રાદ્ધ કર્મ કરવું શુભ ગણાય છે.
- પિતૃ પક્ષ દરમ્યાન ગાય, કુતરા, કાગડા અને કીડીને ભોજન કરાવવું લાભકારી માનવામાં આવે છે.
- પિતૃ પક્ષ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
- જે લોકોની કુંડળીમાં પિતૃદોષ હોય તેમણે પિતૃ પક્ષ દરમિયાન ધાર્મિક સ્થાન પર જઈને પિંડદાન કરવું શુભ ગણાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)