)
Radha Ashtami Vrat 2025: હિંદુ પંચાંગ અનુસાર ભાદરવા મહિનાની આઠમની તિથિએ રાધાષ્ટમી ઉજવાય છે. આ દિવસે રાધા રાનીની વિશેષ પૂજા કરવામાં આવે છે.. માન્યતા છે કે આ વ્રત નિયમ પૂર્વક કરવાથી ભક્તોને રાધા રાણી સાથે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.. પરંતુ આ વ્રત વિધિ વિધાનથી કરવું જરૂરી છે. જો વિધિ વિધાનપૂર્વક વ્રત કરવામાં ન આવે તો શુભ ફળ પણ મળતું નથી. જો તમે આ વર્ષે પહેલી વખત રાધાષ્ટમીનું વ્રત રાખવા માંગો છો તો વ્રત કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું ચાલો તમને જણાવીએ.
રાધાષ્ટમીનું શુભ મુહૂર્ત
પંચાંગ અનુસાર આ વર્ષે રાધાષ્ટમીની શરૂઆત 30 ઓગસ્ટ રાત્રે 10.46 મિનિટથી થશે અને તેનું સમાપન 1 સપ્ટેમ્બરે રાત્રે 12.57 મિનિટે થશે. તહેવારમાં રાધાષ્ટમીનું વ્રત 31 ઓગસ્ટ રવિવારે રાખવાનું રહેશે. આ દિવસે રાધા રાનીની પૂજા કરવાનો ઉત્તમ સમય સવારે 11.05 મિનિટથી લઈ બપોરે 1.38 મિનિટ સુધીનો રહેશે.
રાધાષ્ટમીના વ્રતમાં કઈ ભૂલ ન કરવી ?
વ્રતના દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાન કરી ઘરની સાફ-સફાઈ કરવી.. આ દિવસે ક્રોધ કરવો નહીં કટુ વચન બોલવા નહીં અને ઘરના વડીલોનો અનાદર કરવો નહીં.. વ્રત દરમિયાન અનાજ કે મીઠાનું સેવન કરવાનું ટાળવું. વ્રતમાં ફક્ત એક સમય ફળ આહાર કરવાનો નિયમ છે. પરંતુ જો ઉપવાસ ન કરી શકાય તેવી સ્થિતિ હોય તો આ દિવસે તામસિક ભોજન કરવાનું ટાળવું અને સાત્વિક ભોજન કરવું.
રાધાષ્ટમીની પૂજા કેવી રીતે કરવી?
રાધાષ્ટમીના દિવસે રાધા-કૃષ્ણની યુગલ સ્વરૂપની વિધિપૂર્વક પૂજા કરવી. રાધા રાણી અને શ્રીકૃષ્ણને પુષ્પ, વસ્ત્ર અને આભૂષણથી સજાવો અને તેમને મીઠાઈમાં માલપુઆ, રબડી અને ફળનો ભોગ અર્પણ કરો. આ દિવસે રાધા રાની અને ભગવાન કૃષ્ણના નામનો જાપ કરવો. ધાર્મિક માન્યતા અનુસાર રાધાષ્ટમીનું વ્રત જો રાધા રાણીના સ્મરણ સાથે કરવામાં આવે તો વ્યક્તિને પ્રેમ, સૌભાગ્ય અને આધ્યાત્મિક આનંદની પ્રાપ્તિ થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)