)
Shani Amavasya 2025: હિન્દુ ધર્મમાં અમાસની તિથિ મહત્વપૂર્ણ ગણાય છે. અમાસના દિવસે પિતૃઓના શ્રાદ્ધથી લઈને તર્પણ, દાન, પુણ્ય જેવા કાર્ય કરવામાં આવે છે. વર્ષ દરમિયાન આવતી અમાસમાંથી કેટલીક અમાસ વિશેષ ગણાય છે. જેમકે ભાદરવા મહિનાની શરૂઆત પહેલા આવતી અમાસ એટલે કે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ વિશેષ હોય છે. આ અમાસને કુશાગ્રહણી અમાસ પણ કહેવામાં આવે છે. તેમાં પણ આ વર્ષે આ અમાસ વિશેષ છે કારણ કે તે શનિવારે આવી રહી છે. 23 ઓગસ્ટ અને શનિવારે અમાસ આવે છે જેને શનિશ્ચરી અમાસ પણ કહેવાય છે.
પંચાંગ અનુસાર અમાસની તિથિ 22 ઓગસ્ટ શુક્રવારે સવારે 11.55 મિનિટથી શરૂ થઈ જશે. જેનું સમાપન 23 ઓગસ્ટ અને શનિવારે સવારે 11.35 મિનિટે થશે. ઉદયા તિથિ અનુસાર અમાસ 23 ઓગસ્ટે માન્ય ગણાશે. આ અમાસના દિવસે સ્નાન અને દાન કરવાનું મુહૂર્ત સવારે 4.26 મિનિટ થી 5.10 મિનિટ સુધી રહેશે. આ સમય દરમિયાન પવિત્ર નદી કે કુંડમાં સ્નાન કરવાથી લાભ થાય છે. આ સાથે જ શનિવારે સૂર્યદેવને અર્ધ્ય ચઢાવવાથી પણ પુણ્ય મળે છે. શનિ અમાસના દિવસે ગરીબ જરૂરિયાત મંદોને વસ્તુઓનો દાન કરવું પણ શુભ ગણાય છે
શનિ અમાસના દિવસે શું ન કરવું ?
શનિ અમાસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે કેટલીક ભૂલ અજાણતા પણ થઈ જાય તો શનિદેવ નારાજ થઈ જાય છે અને તેનાથી જીવન બરબાદ પણ થઈ શકે છે. તેથી શની અમાસના દિવસે આ ભૂલ કરવાનું ટાળવું જોઈએ.
- શનિ અમાસના દિવસે કોઈપણ પ્રકારના નશીલા પદાર્થ કે માંસનું સેવન કરવું નહીં તેનાથી શનિદેવ અને પિતૃ નારાજ થાય છે.
- આમ તો વ્યક્તિએ ક્યારેય ખોટું બોલવું નહીં પરંતુ શનિ અમાસના દિવસે જો કોઈને દગો દેવામાં આવે કે ખોટું બોલવામાં આવે તો ન્યાયના દેવતા શની કઠોર દંડ આપે છે.
- શનિ અમાસનો દિવસ ભારે દિવસ ગણાય છે તેથી આ દિવસે કોઇપણ પ્રકારના નવા કામની શરૂઆત કરવાનું ટાળવું.
- અમાસની રાત્રે નકારાત્મક શક્તિઓને પ્રબળ હોય છે. તેથી અમાસની રાત્રે સ્મશાન ઘાટ, કબ્રસ્તાન કે અજાણી જગ્યા પર રાતના સમયે ભટકવું નહીં.
- શનિ અમાસના દિવસે નખ કે વાળ કાપવાનું પણ ટાળવું જોઈએ. આ દિવસે નખ કે વાળ કાપવાથી જીવનમાં નકારાત્મકતા વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)