)
Shravan Month Shiv Pooja Vidhi: શ્રાવણ મહિનાનો પ્રારંભ શુક્રવાર અને 25 જુલાઈ 2025 થી થઈ રહ્યો છે. શ્રાવણ માસમાં મહાદેવની ભક્તિ કરવાથી ભોળાનાથ શીઘ્ર પ્રસન્ન થાય છે. શ્રાવણ મહિના દરમિયાન અને ખાસ કરીને સોમવારે જે ભક્ત ભગવાન શિવની શ્રદ્ધા પૂર્વક આરાધના કરે છે તેને ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
શ્રાવણ મહિનાના સોમવારનું વિશેષ મહત્વ હોય છે માન્યતા છે કે આ વ્રત કરવાથી અવિવાહિત લોકોના વિવાહના યોગ બને છે અને તેને ઇચ્છિત જીવનસાથી પ્રાપ્ત થાય છે. મહાદેવની પૂજાથી લાંબા અને નિરોગી આયુષ્યનું વરદાન પણ મળે છે. યોગ્ય વિધિથી શિવજીની પૂજા કરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધિત બધા કષ્ટ દૂર થઈ જાય છે. માન્યતા છે કે શ્રાવણ મહિનામાં વૃક્ષારોપણ કરવાથી પણ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે.
શ્રાવણ મહિનામાં મહાદેવની પૂજા કરવા માટે ભક્તોના ઘોડાપૂર ઉમટે છે પરંતુ શિવજીની પૂજા કરતી વખતે ધ્યાન રાખવાની પણ જરૂર હોય છે. શિવજીની પૂજા કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું આજે તમને જણાવીએ. આ વાત જાણવી એટલા માટે જરૂરી છે કે પૂજા દરમિયાન જો સાવધાની રાખવામાં ન આવે તો પૂજા નિષ્ફળ થઈ જાય છે અને અનિષ્ટ થાય છે.
મહાદેવની પૂજા કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું ?
- મહાદેવને દૂધ અર્પણ કરવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો નહીં. દૂધ ચઢાવવા માટે હંમેશા પિત્તળ કે ચાંદીના પાત્રનો ઉપયોગ કરવો.
- શિવલિંગ પર દૂધ, દહીં, મધ અલગ અલગ ચડાવવામાં આવે કે પછી પંચામૃત અર્પણ કરો તો તેને અર્પણ કર્યા પછી એક લોટો જળ અવશ્ય અર્પણ કરો.
- ઘણા લોકો શિવલિંગ પાસે ધૂપ અને અગરબત્તી કરે છે જે ખોટું છે.
- શિવલિંગની ઉપર જે કળશ હોય તેમાં ક્યારેય દૂધ પધરાવું નહીં. જલાધારીમાં હંમેશા શુદ્ધ જળ જ હોવું જોઈએ.
- શિવલિંગ ઉપર ક્યારે સિંદૂર કે કંકુનો ચાંદલો કરવો નહીં. શિવજીને હંમેશા ચંદનનું તિલક કરવાનું હોય છે.
- ધાર્મિક માન્યતા અનુસાર શિવલિંગ પર ક્યારેય રૂપિયા પણ અર્પણ કરવા નહીં તે અનુચિત છે..
- શિવલિંગની સંપૂર્ણ પરિક્રમા ક્યારેય ન કરવી. જે જગ્યાએથી જલ વહેતું હોય ત્યાં સુધી જવું અને પછી પરત ફરી જવું જોઈએ.
- શિવ પૂજામાં ક્યારે કેતકીના ફૂલનો ઉપયોગ કરવો નહીં અને શિવલિંગ પર શંખથી પાણી ચઢાવવું નહીં.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)