)
Vastu Tips For Shivling: હિન્દુ શાસ્ત્રમાં શિવલિંગ ભગવાન શિવનું પ્રતિક ગણાય છે. શિવભક્તો રોજ શિવ મંદિરમાં જઈને શિવલિંગની પૂજા અર્ચના કરતા હોય છે. મોટાભાગે લોકો મંદિરમાં જઈને જ શિવલિંગની પૂજા કરતા હોય છે પરંતુ ઘણા શિવ ભક્તોને ઘરમાં શિવલિંગ સ્થાપિત કરી તેની પૂજા કરવાની ઈચ્છા હોય છે. પરંતુ ઘરમાં શિવલિંગ સ્થાપિત કરતા પહેલા કેટલાક નિયમો વિશે જાણી લેવું જરૂરી છે. ઘરમાં શિવલિંગ રાખી શકાય છે પરંતુ નિયમ અનુસાર જ તેને રાખવું જોઈએ. ઘરમાં રાખવા માટે શિવલિંગનો આકાર અને તેની પૂજાના નિયમો શું છે ચાલો તમને જણાવીએ.
ઘરમાં શિવલિંગ સ્થાપિત કરવું હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે નહીં તો શિવલિંગ સ્થાપિત કર્યા પછી જીવન પર નકારાત્મક પ્રભાવ જોવા મળે છે. ઘરમાં રાખવાનું શિવલિંગ કેવું હોવું જોઈએ અને તેને કઈ દિશામાં રાખવું જોઈએ તે જાણવું સૌથી જરૂરી છે. આ અંગે વાસ્તુશાસ્ત્રનો નિયમ શું કહે છે ચાલો જાણીએ.
શિવલિંગ રાખવાની યોગ્ય દિશા
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં શિવલિંગ સ્થાપિત કરવા માટે બે દિશા સૌથી યોગ્ય ગણાય છે. શિવલિંગને એવી રીતે રાખો કે શિવલિંગની પૂજા કરતી વખતે ભક્તોનો મુખ પૂર્વ દિશામાં હોય અને શિવલિંગ પશ્ચિમ દિશામાં હોય. શિવલિંગની જલધારી ઉત્તર દિશા તરફ હોય અથવા તો પૂર્વ દિશા તરફ હોય તે રીતે પણ રાખી શકો છો.
શિવલિંગનો આકાર
ઘરમાં શિવલિંગ સ્થાપિત કરવું હોય તો તેનો આકાર કેવો હોવો જોઈએ તે જરૂરી છે.. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવાનું શિવલિંગ હંમેશા નાના આકારનું હોવું જોઈએ.. ઘરમાં જે શિવલિંગ રાખો તેનો આકાર હાથના અંગૂઠા જેટલો હોય તો શુભ ગણાય છે. અંગૂઠાથી મોટું શિવલિંગ ઘરમાં રાખવું અશુભ માનવામાં આવે છે. સાથે જ ઘરમાં એક જ શિવલિંગ રાખવું જોઈએ એકથી વધુ શિવલિંગ રાખવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર નર્મદા નદીમાંથી મળેલા પથ્થરમાંથી બનેલું શિવલિંગ ઘરમાં રાખવું અત્યંત શુભ ગણાય છે. જોકે તમે ઘરમાં ધાતુથી બનેલું શિવલિંગ પણ સ્થાપિત કરી શકો છો. જેમકે ચાંદી અથવા તાંબા થી બનેલું શિવલિંગ જેની ચારે તરફ સાપ હોય તેને ઘરમાં રાખી શકાય છે.
જો તમે ઘરમાં શિવલિંગ રાખો તો નિયમિત રીતે તેની પૂજા થવી જરૂરી છે. શિવલિંગની ઘરમાં સ્થાપના કર્યા પછી રોજ તેને સ્નાન કરાવવું અને જલહરીને જળથી ભરી રાખવી જરૂરી છે. શિવલિંગ પર રોજ ચંદનથી તિલક કરો અને જલાભિષેક પણ કરો. શિવલિંગ પર ક્યારેય સિંદૂર કે હળદર ચડાવવા નહીં.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)