)
Vivah Panchami 2025: જો તમારા જીવનમાં પણ લગ્ન સંબંધિત સમસ્યાઓ હોય એટલે કે લાખ પ્રયત્નો છતાં પણ દાંપત્યજીવનની સમસ્યા દૂર ન થતી હોય લગ્ન નક્કી થવામાં સમસ્યા આવી રહી હોય તો વિવાહ પંચમીનો પાવન દિવસ આ બધી જ સમસ્યાઓને દૂર કરવા માટે ઉત્તમ છે. હિન્દુ માન્યતા અનુસાર વિવાહ પંચમી પર વિધિ વિધાનથી પૂજા કરવાથી વ્યક્તિ પર ભગવાન રામ અને માતા સીતાની કૃપા વરસે છે. વિવાહ પંચમીના દિવસે કેટલાક ઉપાય કરવાથી સુખ-સૌભાગ્ય વધે છે અને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ પણ મળે છે.
હિંદુ પંચાંગ અનુસાર આ વખતે વિવાહ પંચમી 25 નવેમ્બરના રોજ ઉજવાશે. માગશર મહિનાની પંચમીની તિથિ ની શરૂઆત 24 નવેમ્બરે રાત્રે 9.22 મિનિટથી થશે. પંચમી નીતિથી 25 નવેમ્બરે રાત્રે 10.56 કલાકે પૂરી થશે. ઉદયા તિથિ અનુસાર વિવાહ પંચમી 25 નવેમ્બર 2025 ના રોજ ઉજવવામાં આવશે. જો તમારા જીવનમાં પણ વિવાહ સંબંધિત કે દાંપત્યજીવન સંબંધિત કોઈ સમસ્યા હોય તો આ દિવસે નીચે દર્શાવ્યા અનુસારના ઉપાય કરવા
વિવાહ પંચમીના ચમત્કારી ઉપાય
જો તમારા લગ્નમાં બાધા આવી રહી હોય અને અનેક પ્રયત્ન છતાં પણ ઇચ્છિત જીવન સાથે ન મળતો હોય તો વિવાહ પંચમીના દિવસે માતા સીતા અને ભગવાન રામને પીળા વસ્ત્ર અર્પણ કરવા અને તેમની પૂજા કરવી. માન્યતા છે કે આ પૂજાથી શીઘ્ર વિવાહના યોગ બને છે.
હિન્દુ માન્યતા અનુસાર ભગવાન રામના ગુણગાન કરતા રામચરિત માનસનો પાઠ કરવાથી પણ મનોકામના પૂર્ણ થાય છે. વિવાહ પંચમીના દિવસે વિશેષ રૂપે ભગવાન શ્રીરામની પૂજા કરી સ્વયંવર પ્રસંગનો પાઠ કરવો. વિવાહ પંચમીના દિવસે રામચરિત માનસનો પાઠ કરવો અત્યંત ફળદાયી ગણાય છે.
હિન્દુ ધર્મ અનુસાર ખાસ દિવસો હોય ત્યારે દાન અને સ્નાનનું વિશેષ મહત્વ હોય છે. તેવી જ રીતે વિવાહ પંચમીના દિવસે પણ જરૂરિયાત મંદ દંપતીને અન્ન, વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ. જો શક્ય હોય તો કોઈ કન્યાના વિવાહમાં આર્થિક મદદ કરવી.
જો કોઈ દંપત્તિના સંબંધોમાં સમસ્યા હોય અને લગ્ન જીવનમાં વારંવાર તકલીફો આવી રહી હોય તો પતિ પત્નીએ વિવાહ પંચમીના દિવસે મંદિરમાં જઈને માતા સીતા અને ભગવાન રામની વિશેષ પૂજા કરવી. અખંડ સૌભાગ્યની કામના પૂરી કરવા માટે મહિલાઓએ વિવાહ પંચમીના દિવસે માતા સીતાને સૌભાગ્યની સામગ્રી સાથે સિંદૂર અર્પણ કરવું જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)