Silver Thumb Ring Benefits: ચંદ્ર અને શુક્રની સ્થિતિ બળવાન બનાવવી હોય તો તેનો એકદમ સરળ ઉપાય જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલો છે. શુક્ર અને ચંદ્ર મજબૂત હોય તો વ્યક્તિને પદ, પ્રતિષ્ઠા, પૈસો બધું જ મળે છે. તમામ પ્રકારના ભૌતિક સુખ પ્રાપ્ત કરવા હોય તો અંગૂઠામાં ચાંદીની વીંટી આ વિધિ અનુસાર પહેરી લો.
)
Silver Thumb Ring Benefits: જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ગ્રહ અને નક્ષત્રોની સ્થિતિ અનુસાર જો ધાતુ કે રત્ન ધારણ કરવામાં આવે તો તેનાથી વ્યક્તિને લાભ થઈ શકે છે. કુંડળીમાં જો કોઈ ગ્રહ નબળો હોય તો તેની સ્થિતિ સુધારવા માટે ગ્રહને અનુકૂળ ધાતુ અને રત્ન પહેરવાનું પણ વિધાન છે. જેમકે કુંડળીમાં ચંદ્ર અને શુક્ર નબળો હોય અને તેને બળવાન કરવા હોય તો ચાંદીની વીંટી ધારણ કરી શકાય છે. સામાન્ય એવી ચાંદીની વીંટી જો અંગૂઠામાં ધારણ કરવામાં આવે તો તેનાથી વ્યક્તિને ભૌતિક સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે.
ચાંદીની વીંટીનું મહત્વ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચાંદીની વીંટી ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે. ચંદ્ર મન, લાગણી, શાંતિ વગેરેનો કારક ગ્રહ છે અને શુક્ર ધન, વૈભવ, સુખ, સંપત્તિ, આકર્ષણ, સૌંદર્ય અને પ્રેમનો કારક ગ્રહ છે. ચાંદીની સાદી વીંટી જો યોગ્ય વિધિથી અંગૂઠામાં ધારણ કરવામાં આવે તો શુક્ર અને ચંદ્રની સ્થિતિ મજબૂત થાય છે.
ચાંદીની વીંટી પહેરવાના લાભ
- ચાંદીની વીંટી પહેરવાથી વ્યક્તિ તણાવ મુક્ત રહે છે અને માનસિક શાંતિ મળે છે.
- ચાંદીની વીંટી પહેરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે અને આવકના નવા સ્ત્રોત ખુલે છે.
- ચાંદીની વીટી પહેરવાથી લવ લાઈફ સુધરે છે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે.
- અંગૂઠામાં ચાંદીની વીંટી પહેરવાથી ભાગ્યનો સાથ મળે છે અને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. કારકિર્દી અને બિઝનેસમાં નવી નવી તક પ્રાપ્ત થાય છે જે લાભકારી નીવડે છે.
ચાંદીની વીંટી પહેરવાની વિધિ
જો તમે પણ ચાંદીની વીંટી પહેરીને તેનાથી મળતા લાભ અનુભવવા માંગો છો તો આ વિધિ અનુસાર વીંટી ધારણ કરવી. ચાંદીની વીંટી ખરીદી તેને સોમવારના દિવસે ધારણ કરવી શુભ રહે છે. સોમવાર સિવાય શુક્રવારના દિવસે પણ વીંટી ધારણ કરી શકાય છે. પહેરતા પહેલા તેનું શુદ્ધિકરણ જરૂરી છે તેના માટે એક વાટકીમાં ગાયનું કાચું દૂધ લેવું અને તેમાં ચાંદીની વીંટી મૂકી દેવી. ત્યાર પછી એક માળા વડે 108 વખત ઓમ સોમાઈ નમઃ મંત્રનો જાપ કરવો અને પછી વીંટીને દૂધમાંથી કાઢી પાણીથી શુદ્ધ કરી જમણા હાથના અંગૂઠામાં ધારણ કરવી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)