)
Surya Kumar Yadav : ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ દરમિયાન તેમજ મેચ બાદ ભારતીય ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતા. જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ બાઉન્ડ્રી પાસે લાઇનમાં રાહ જોઈ રહ્યા હતા. પરંતુ ભારતીય ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કરી દીધો. આ એક પરંપરા છે, જેમાં બંને ટીમોના ખેલાડીઓ મેચ સમાપ્ત થયા પછી એકબીજા સાથે હાથ મિલાવતા હોય છે.
એક પત્રકારે સૂર્યકુમારને પૂછ્યું કે શું તેમને લાગે છે કે પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરવો રમતની ભાવના વિરુદ્ધ છે ? આના જવાબમાં સૂર્યાએ કહ્યું કે કેટલીક બાબતો રમતની ભાવનાથી ઉપર છે. સૂર્યકુમારે મેચ પછીના સમારોહમાં કહ્યું હતું કે અમે પહેલગામના પીડિત પરિવારો સાથે ઉભા છીએ. અમે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ, આ જીત અમારા તમામ સશસ્ત્ર દળોને સમર્પિત કરવા માંગીએ છીએ. આશા છે કે તેઓ અમને પ્રેરણા આપતા રહેશે.
પાકિસ્તાની ટીમ સાથે હાથ ન મિલાવવાના નિર્ણય અંગે, સૂર્યાએ કહ્યું કે અમારી સરકાર અને BCCI બધા આ નિર્ણય પર એકમત હતા. અમે અહીં ફક્ત રમત રમવા માટે આવ્યા હતા અને મને લાગે છે કે અમે તેમને યોગ્ય જવાબ આપ્યો છે.
PAK કેપ્ટને એવોર્ડ સમારોહમાં હાજરી આપી નહોતી
પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા મેચ પછીના એવોર્ડ સમારોહમાં હાજર રહ્યો નહોતો. પાકિસ્તાનના મુખ્ય કોચ માઈક હેસને કહ્યું કે ભારતીય ટીમ દ્વારા હાથ મિલાવવાનો ઇનકાર કરવાથી પાકિસ્તાની ટીમ નિરાશ થઈ હતી અને સલમાન આગા આ કારણોસર એવોર્ડ સમારોહમાં આવ્યા નહોતો.
This win is dedicated to the armed forces of India and the victims of the Pahalgam attack. Jai Hind ?? pic.twitter.com/ueF1cev152
— Surya Kumar Yadav (@surya_14kumar) September 14, 2025
સૂર્યાને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો
ગયા અઠવાડિયે દુબઈમાં ટુર્નામેન્ટ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટનોની બેઠક દરમિયાન જ્યારે સૂર્યકુમાર પાકિસ્તાની કેપ્ટન સલમાન સાથે હાથ મિલાવતા જોવા મળ્યા ત્યારે તેની સોશિયલ મીડિયા પર પણ ટીકા થઈ હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવીને શુભેચ્છા પાઠવવા બદલ તેને ટીકાનો સામનો પણ કરવો પડ્યો હતો.
સોશિયલ મીડિયાથી અંતર જાળવી રાખ્યું
સૂર્યકુમારે કહ્યું કે ટીમે સોશિયલ મીડિયા પર વિવાદ ટાળવાનો નિર્ણય લીધો છે જેથી તેઓ રમત પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા વિશે વાત કરતાં દુબઈ પહોંચવાના દિવસે મેં મારા સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે નક્કી કર્યું હતું કે આપણે બહારના અવાજોથી 70-80 ટકા અંતર રાખીશું. અમે વિચાર્યું હતું કે આમ કરવાથી આપણે આપણી યોજનાઓને વધુ સારી રીતે અમલમાં મૂકી શકીશું. મને ખબર નહોતી કે બહાર શું થઈ રહ્યું છે, મારી ટીમ મને આ બધાથી દૂર રાખે છે, તો જ તમે સ્પષ્ટ મન સાથે મેદાનમાં પ્રવેશ કરી શકો છો.