)
IND vs ENG 4th Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 5 ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાશે. આ મેચ ભારત માટે કરો યા મરોનો મુકાબલો હશે કારણ કે લોર્ડ્સ ટેસ્ટમાં હાર બાદ ટીમ હવે શ્રેણીમાં પાછળ રહી ગઈ છે. જોકે ટીમ ઇન્ડિયા કોઈ મોટા ફેરફાર કરવા જઈ રહી નહોતી, પરંતુ ઇજાઓને કારણે કોચ ગૌતમ ગંભીરને ટીમ કોમ્બિનેશનમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.
પંત ઈજાગ્રસ્ત, જુરેલને તક મળશે
લોર્ડ્સ ટેસ્ટમાં વિકેટકીપર રિષભ પંતને હાથમાં ઇજા થઈ હતી. આ પછી તે ફક્ત બેટિંગ કરવા આવ્યો હતો વિકેટકીપિંગ કરી નહોતી. તેની જગ્યાએ ધ્રુવ જુરેલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી. એવી અટકળો છે કે ધ્રુવ જુરેલ ફરી એકવાર વિકેટકીપરની ભૂમિકા ભજવશે અને પંત ફક્ત બેટ્સમેન તરીકે જ રમી શકે છે, કારણ કે તે હજુ સંપૂર્ણપણે ફિટ નથી.
આનાથી કરુણ નાયર પર અસર પડી શકે છે, જેણે અત્યાર સુધી ત્રણ ટેસ્ટમાં છ ઇનિંગમાં ફક્ત 131 રન બનાવ્યા છે. તેના બેટથી કોઈ મોટી ઇનિંગ આવી નથી, જે સૂચવે છે કે ધ્રુવ જુરેલને તેની જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં તક આપવામાં આવી શકે છે.
કુલદીપ યાદવને તક મળશે
લાંબા સમયથી ચાહકો કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં જોવાની માંગ કરી રહ્યા હતા અને હવે સમાચાર છે કે તેને માન્ચેસ્ટર ટેસ્ટમાં તક મળવાની છે. કુલદીપને આકાશ દીપની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવશે, જે ઈજાગ્રસ્ત છે. લોર્ડ્સ ટેસ્ટની ચોથી ઇનિંગમાં બોલિંગ કરતી વખતે તેને ઈજા થઈ હતી અને હવે તે પીઠની તકલીફથી પણ પીડાઈ રહ્યો હોવાનું કહેવાય છે.
અહેવાલો અનુસાર, બુમરાહ અને આકાશ દીપ એકસાથે નહીં રમે, તેથી કુલદીપનું રમવું લગભગ નિશ્ચિત છે. કુલદીપે આ વર્ષે ભારતમાં રમાયેલી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 8 ઇનિંગ્સમાં 19 વિકેટ લીધી હતી.
અર્શદીપ બહાર, અંશુલ કંબોજ ટીમમાં સામેલ
ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પ્રેક્ટિસ દરમિયાન હાથ પર ઈજાના કારણે માન્ચેસ્ટર ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ફાસ્ટ બોલર અંશુલ કંબોજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન :
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શુભમન ગિલ, ઋષભ પંત, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ