)
Asia Cup 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા તણાવની અસર ભારતમાં સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. આ દરમિયાન સમાચાર આવ્યા કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો બંધ કરવાની યોજના બનાવી રહ્યું છે. જેના કારણે તે એશિયા કપ 2025 પણ છોડી દેવા તૈયાર છે. હવે BCCIએ આ મુદ્દે પોતાનું નિવેદન જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં BCCIનું ફોકસ તેના પર નથી.
22 એપ્રિલના રોજ આતંકવાદી હુમલો
22 એપ્રિલના રોજ જ્યારે આતંકવાદીઓએ ભારતીય પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. જેમાં 26થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલો પાકિસ્તાન સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે અને ભારતે કડક કાર્યવાહી કરી હતી. જ્યારે ભારતીય સેનાએ 7 મેની રાત્રે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કર્યો, ત્યારે પાકિસ્તાન ગુસ્સે ભરાયું. જ્યારબાદ 8 મેના રોજ પાકિસ્તાને ભારત પર હવાઈ હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સેનાએ તેના મિશનને નિષ્ફળ બનાવ્યું.
IPL પણ કરવી પડી હતી રદ
પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાને કારણે 9 મેના રોજ BCCIએ IPL રદ કરવાનો નિર્ણય લીધો હતો. BCCIએ પણ પાકિસ્તાનની આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે, તે દેશની સાથે ઉભું છે. આ દરમિયાન સમાચાર આવ્યા કે, હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો રોમાંચ પણ ફેન્સ જોઈ શકશે નહીં. એશિયા કપ 2025માંથી પણ ભારતે પોતાનું નામ પાછું ખેંચી લેશે. આ મુદ્દે BCCIએ પોતાનું નિવેદન જાહેર કર્યું છે.
શું છે BCCIનું અપડેટ?
BCCIના પ્રમુખ દેવજીત સૈકિયા દ્વારા આ મુદ્દા પર એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, 'આજ સવારથી જ અમને કેટલાક એવા સમાચારો મળ્યા છે કે, બીસીસીઆઈએ એશિયા કપ અને મહિલા ઇમર્જિંગ ટીમ એશિયા કપમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે, જે બન્ને એસીસી ઇવેન્ટ છે. આવા સમાચારોમાં કોઈ સત્ય નથી કારણ કે, અત્યાર સુધી BCCI એ ACCના આગામી કાર્યક્રમ અંગે કોઈ ચર્ચા કરી નથી કે કોઈ પગલું ભર્યું નથી. ACCને કંઈપણ લખવું એ દૂરની વાત છે. હાલમાં અમારું મુખ્ય ધ્યાન ચાલુ IPL પર છે અને ત્યારબાદ ઇંગ્લેન્ડમાં રમાનારી પુરુષો અને મહિલાઓની સિરીઝ પર છે.'
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'એશિયા કપનો મામલો કે અન્ય કોઈપણ ACC ઇવેન્ટ સાથે સંબંધિત કોઈપણ મુદ્દો કોઈપણ સ્તરે ચર્ચા માટે આવ્યો નથી.' તેથી તેના પરના કોઈપણ સમાચાર કે અહેવાલો સંપૂર્ણપણે અટકળો અને કાલ્પનિક છે. એવું કહી શકાય કે BCCI જ્યારે પણ ACCની કોઈપણ ઇવેન્ટ પર ચર્ચા કરશે અને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેશે, ત્યારે મીડિયાના માધ્યમથી તેની જાહેરાત કરવામાં આવશે.