)
IPL 2025 : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL)ના શેડ્યૂલમાં ફેરફાર થવાની શક્યતા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે 6 એપ્રિલે રમાનારી મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં આવે તેવી શક્યતા છે. કોલકાતા પોલીસે રામ નવમીના કારણે સુરક્ષા મંજૂરી આપી નથી. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ અગાઉ જાહેરાત કરી હતી કે રામ નવમી પર પશ્ચિમ બંગાળમાં 20,000 થી વધુ સરઘસ કાઢવામાં આવશે. આનાથી સમગ્ર રાજ્યમાં સુરક્ષાની જરૂરિયાતો વધી છે.
ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના પ્રમુખ સ્નેહાસીશ ગાંગુલીએ 18 માર્ચે શહેર પોલીસ સાથે બે રાઉન્ડની ચર્ચા પછી માહિતી આપી કે અધિકારીઓએ મેચ માટે મંજૂરી આપી નથી. તેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ પૂરતી સુરક્ષા આપી શકશે નહીં. જો પોલીસ સુરક્ષા નહીં હોય, તો 65,000 લોકોની ભીડને હેન્ડલ કરવી અશક્ય બની જશે.
ગત વર્ષે પણ IPLની મેચ રિશેડ્યૂલ કરવી પડી હતી
સ્નેહાશિશે જણાવ્યું હતું કે, અમે બીસીસીઆઈને જાણ કરી દીધી છે અને અંતિમ નિર્ણય લેવા માટે હજુ પણ સમય છે, ગયા વર્ષે પણ રામ નવમી પર યોજાનારી આઈપીએલ મેચને ફરીથી શેડ્યૂલ કરવી પડી હતી. RPSG ગ્રુપના ચેરમેન સંજીવ ગોએન્કાની માલિકીની KKR અને LSG વચ્ચેની મેચ માટે દર્શકોની મોટી ભીડની અપેક્ષા હતી. બંને ટીમોને અહીંથી ભરપૂર સમર્થન મળવાની આશા છે. ગત સિઝનમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચેની આઈપીએલ મેચ પણ રામ નવમી પર સુરક્ષાની ચિંતાઓને કારણે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી.
IPL ઓપનિંગ સેરેમની
2025ની આઈપીએલ સીઝન 22 માર્ચથી ઈડન ગાર્ડન્સ ખાતે શરૂ થશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન KKR સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો થશે. મેચ પહેલા 35 મિનિટની શાનદાર ઓપનિંગ સેરેમની થશે. ફેમસ સિંગર શ્રેયા ઘોષાલ અને અભિનેત્રી દિશા પટણી તેમાં પરફોર્મ કરે તેવી શક્યતા છે. ICCના અધ્યક્ષ જય શાહ અને અન્ય મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે.