)
ઇન્ડિયન પ્રીમિયર લીગના સૌથી વિસ્ફોટક ઓલરાઉન્ડરોમાંના એક આન્દ્રે રસેલે આખરે એવો નિર્ણય લીધો છે જેની કોઈએ અપેક્ષા રાખી નહોતી. કેરેબિયન દિગ્ગજ આઈપીએલ 2026માં રમશે નહીં, કારણ કે તેને મીની-ઓક્શન પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. રસેલે પોતે 30 નવેમ્બરના રોજ એક વીડિયો શેર કરીને આ જાહેરાત કરી હતી.
રસેલની નિવૃત્તિ તેના ચાહકો અને કેકેઆર માટે મોટો ઝટકો છે. કેકેઆરમાંથી મુક્ત થયા પછી રસેલે આ નિર્ણય લીધો હતો. 16 ડિસેમ્બરે યોજાનાર ઓક્શનમાં તેની ઊંચી બોલી લાગશે તેવી અપેક્ષાઓ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, રસેલની અન્ય યોજનાઓ હતી. રસેલે ચાહકોને વચન આપ્યું છે કે તે આઈપીએલ 2026માં કેકેઆર માટે નવી ભૂમિકામાં દેખાશે.
આન્દ્રે રસેલે શું કહ્યું ?
નિવૃત્તિની જાહેરાત કરતા આન્દ્રે રસેલે લખ્યું, "હું આઈપીએલમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું, પણ સ્વેગર નહીં. આઈપીએલમાં શું સફર રહી છે, 12 સીઝનની યાદો અને કેકેઆર પરિવાર તરફથી ઘણો પ્રેમ." હું વિશ્વભરની દરેક અન્ય લીગમાં છગ્ગા મારતો રહીશ અને વિકેટ લેતો રહીશ અને સૌથી સારી વાત? હું ઘર છોડીને જઈ રહ્યો નથી... તમે મને 2026માં KKR સપોર્ટ સ્ટાફમાં પાવર કોચ તરીકે એક નવી ભૂમિકામાં જોશો. એક નવો અધ્યાય. એ જ ઉર્જા, હંમેશા નાઈટ.
આન્દ્રે રસેલે શા માટે નિવૃત્તિ લીધી ?
આન્દ્રે રસેલે કહ્યું, "જ્યારે મેં આ નિર્ણય લીધો, ત્યારે મને લાગ્યું કે આ સમયે તે શ્રેષ્ઠ નિર્ણય હતો. હું ઝાંખો પડવા માંગતો નથી, હું એક વારસો પાછળ છોડી જવા માંગુ છું. જ્યારે ચાહકો પૂછે છે કે શું તમારામાં હજુ પણ કંઈક બાકી છે, તમે હજુ પણ રમી શકો છો, ત્યારે નિવૃત્તિ લેવી શ્રેષ્ઠ છે."
આન્દ્રે રસેલની IPL કારકિર્દી કેવી રહી ?
આન્દ્રે રસેલ IPLમાં KKR માટે 12 વર્ષ રમ્યો. તેની કારકિર્દી અસાધારણ હતી. તેની IPL કારકિર્દીમાં, રસેલે 140 મેચ રમી, 115 ઇનિંગ્સમાં 28.20ની સરેરાશ અને 174.17ના સ્ટ્રાઇક રેટથી 2651 રન બનાવ્યા. તેણે 121 ઇનિંગ્સમાં 123 વિકેટ પણ લીધી, જેનાથી તે મેચ વિજેતા ઓલરાઉન્ડર બન્યો.
આઈપીએલ 2025માં રસેલે કેકેઆર માટે 10 ઇનિંગ્સમાં 167 રન બનાવ્યા અને 9 ઇનિંગ્સમાં 8 વિકેટ લીધી. કેકેઆરે તેને આઈપીએલ 2026 પહેલા રિલીઝ કરી દીધો હતો, તેથી તેણે હવે લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે.