)
Kl Rahul : ઇંગ્લેન્ડ પ્રવાસ પર ધમાલ મચાવી રહેલા ઓપનર બેટ્સમેન કેએલ રાહુલનું નસીબ ચમકવા જઈ રહ્યું છે. કેએલ રાહુલ આ સમયે શાનદાર ફોર્મમાં છે. રાહુલ વિશે એક મોટા સમાચાર બહાર આવી રહ્યા છે. અહેવાલ મુજબ, તે આઈપીએલ 2026માં દિલ્હી કેપિટલ્સ છોડીને નવી ટીમમાં જોડાઈ શકે છે. આ માટે વાતચીત પણ શરૂ થઈ ગઈ છે.
મીડિયા અહેવાલ મુજબ, કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ કેએલ રાહુલને તેની ટીમમાં સામેલ કરવા માંગે છે. કેકેઆર આગામી સીઝન માટે નવા કેપ્ટનની શોધમાં છે. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં આઈપીએલ 2024નો ખિતાબ જીત્યા બાદ, કેકેઆર 2025માં કંઈ ખાસ કરી શક્યું નહોતું. કેકેઆર ઐયરને રિટેન કર્યો નહતો. આવી સ્થિતિમાં, અજિંક્ય રહાણેએ કેપ્ટનશીપ કરી હતી, પરંતુ તેના નેતૃત્વમાં ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું.
કેપ્ટનશીપ સાથે મળશે 25 કરોડ
ગઈ સિઝનમાં યોજાયેલી મેગા હરાજીમાં KKR ટીમે ઓલરાઉન્ડર વેંકટેશ ઐયર પર 23.75 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ઐયર પર KKRનો દાવ સંપૂર્ણપણે ઉલટો પડ્યો. તે સિઝનમાં ટીમ માટે સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો. આવી સ્થિતિમાં, હવે KKR સમજી ગયું છે કે તેણે મોટી ભૂલ કરી છે. કેએલ રાહુલ ગઈ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમ્યો હતો. લખનૌ છોડ્યા પછી દિલ્હીની ટીમે રાહુલને 14 કરોડમાં ખરીદ્યો. રાહુલે પણ તેની ફ્રેન્ચાઇઝીને નિરાશ ન કરી અને ટીમ માટે સીઝનમાં 500થી વધુ રન બનાવ્યા.
આવી સ્થિતિમાં, જો કેકેઆર ટીમ કેએલ રાહુલ માટે આગામી હરાજીમાં જાય છે, તો તેને ઓછામાં ઓછા 25 કરોડ મળવાની અપેક્ષા છે. આ ઉપરાંત તેનું કેપ્ટન બનવાનું પણ નક્કી થશે. કારણ કે રાહુલને આઈપીએલમાં કેપ્ટનશીપનો લાંબો અનુભવ પણ છે. કેએલ રાહુલના કેકેઆરમાં આવવાથી ટીમની ઘણી ખામીઓ દૂર થશે. રાહુલ કેપ્ટનશીપ, ઓપનિંગ અને વિકેટકીપિંગમાં સક્ષમ છે.