)
BCCI Election: ભારતીય ક્રિકેટમાં 28 સપ્ટેમ્બર એક મોટો દિવસ સાબિત થઈ શકે છે, જ્યારે BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) પોતાની વાર્ષિક સાધારણ સભામાં નવા પદાધિકારીઓની પસંદગી કરશે. પરંતુ અસલી નિર્ણય તે પહેલા થઈ જવાની આશા છે. સૂત્રો પ્રમાણે 2 સપ્ટેમ્બરની રાત્રે દિલ્હીમાં યોજાનારી મહત્વની બેઠકમાં બીસીસીઆઈની કમાન કોને મળશે, તેનો માર્ગ મોકળો બની જશે.
અધ્યક્ષ તરીકે રોજર બિન્નીનો કાર્યકાળ જુલાઈમાં તેમના 70 વર્ષ પૂરા થવાની સાથે સમાપ્ત થઈ ગયો હતો. બિન્ની ઓક્ટોબર 2022મા બીસીસીઆઈના અધ્યક્ષ બન્યા હતા અને બોર્ડના બંધારણમાં આ પદ માટે 70 વર્ષની ઉંમર નિર્ધારિત છે.
દિલ્હીની બેઠકમાં બીસીસીઆઈનું ભવિષ્યનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ વખતે સૌરવ ગાંગુલીનું નામ ચર્ચામાં છે. હરભજન સિંહ અને કર્ણાટકના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર રઘુરામ ભટ્ટનો પણ ઉલ્લેખ છે. તો પૂર્વ વિકેટકીપર કિરણ મોરેનું નામ પણ ચર્ચામાં છે. ભલે મોરેનું નામ સત્તાવાર યાદીમાં ન હોય, પરંતુ રાજ્ય સંઘની પ્રતિનિધિ બદલવાની જોગવાઈ આ અટકળને હવા આપે છે.
ચૂંટણી અધિકારી એકે જોતીના 6 સપ્ટેમ્બરના નોટિફિકેશન અનુસાર અંતિમ મતદાર યાદી 19 સપ્ટેમ્બરે જાહેર થશે. એટલે કે રાજ્ય એસોસિએશન 24 કલાકની અંદર પોતાના પ્રતિનિધિઓને એજીએમ માટે બદલી શકે છે. આ કારણ છે કે હજુ સુધી દાવેદારોનું ચિત્ર સ્પષ્ટ થયું નથી.
નવા પસંદગીકારો પણ નક્કી થશે
આ વચ્ચે બીસીસીઆઈએ રાષ્ટ્રીય પસંદગીકારો માટે ઈન્ટરવ્યુ પ્રક્રિયા શરૂ કરી છે. ક્રિકેટ એડવાઇઝરી કમિટી (CAC) ના સભ્ય અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપે ઓનલાઈન ઈન્ટરવ્યુ લઈ રહ્યાં છે. ત્રીજા સભ્ય સુલક્ષણા નાયક હવે આ સમિતિમાં નથી, તેથી તેમના સ્થાને નવા સભ્યને સામેલ કરવાની સંભાવના છે.
આ પ્રક્રિયાથી સાત નવા પસંદગીકારો ચૂંટવામાં આવશે. અજીત અગરકરની આગેવાનીવાળી પુરૂષ પસંદગી સમિતિમાં બે, જૂનિયર સમિતિમાં એક અને મહિલા સમિતિમાં ચાર. નવા પસંદગીકારોનો કાર્યકાળ 28 સપ્ટેમ્બરની AGM બાદ શરૂ થશે.
BCCI અધ્યક્ષોનું લિસ્ટ
- આર.ઇ. ગ્રાન્ટ ગોવન - 1928 થી 1933
- સિકંદર હયાત ખાન - 1933 થી 1935
- નવાબ હમીદુલ્લા ખાન - 1935 થી 1937
- મહારાજા કે.એસ. દિગ્વિજય સિંહ - 1937 થી 1938
- પી. સુબ્બારાયન - 1938 થી 1946
- એન્થોની એસ. ડી મેલો - 1946 થી 1951
- જે.સી. મુખર્જી - 1951 થી 1954
- વિઝિયાનગરમના મહારાજ કુમાર - 1954 થી 1956
- સરદાર સુરજીત સિંહ મજીઠીયા - 1956 થી 1958
- આર. કે. પટેલ - 1958 થી 1960
- એમ. એ. ચિદમ્બરમ - 1960 થી 1963
- મહારાજા ફતેહસિંહ રાવ ગાયકવાડ - 1963 થી 1966
- ઝેડ. આર. ઈરાની - 1966 થી 1969
- એન. ઘોષ - 1969 થી 1972
- પી. એમ. રૂંગટા - 1972 થી 1975
- રામપ્રકાશ મહેરા - 1975 થી 1977
- એમ. ચિન્નાસ્વામી - 1977 થી 1980
- એસ. કે. વાનખેડે - 1980 થી 1982
- એન. કે. પી. સાલ્વે - 1982 થી 1985
- એસ. શ્રીરામ - 1985 થી 1988
- બી. એન. દત્ત - 1988 થી 1990
- માધવરાવ સિંધિયા - 1990 થી 1993
- આઈ. એસ. બિન્દ્રા - 1993 થી 1996
- રાજ સિંહ ડુંગરપુર - 1996 થી 1999
- એ.સી. મુથૈયા - 1999 થી 2001
- જગમોહન દાલમિયા - 2001 થી 2004
- રણબીર સિંહ મહેન્દ્ર - 2004 થી 2005
- શરદ પવાર - 2005 થી 2008
- શશાંક મનોહર - 2008 થી 2011
- એન. શ્રીનિવાસન - 2011 થી 2013
- જગમોહન દાલમિયા - 2013 થી 2013
- એન. શ્રીનિવાસન - 2013 થી 2014
- શિવલાલ યાદવ - 2014 થી 2014
- સુનીલ ગાવસ્કર - 2014 થી 2014
- જગમોહન દાલમિયા - 2015 થી 2015
- શશાંક મનોહર - 2015 થી 2016
- અનુરાગ ઠાકુર - 2016 થી 2017
- સી.કે. ખન્ના - 2017 થી 2019
- સૌરવ ગાંગુલી - 2019 થી 2022
- રોજર બિન્ની - 2022 થી 2025