)
બેંગલુરૂઃ કર્ણાટક હાઈકોર્ટે બુધવારે X (પૂર્વમાં ટ્વિટર) દ્વારા કેન્દ્ર સરકારના ટેકડાઉન ઓર્ડરને પડકારતી અરજી નકારી દીધી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ભારતમાં કામ કરવા માટે દેશના કાયદાનું પાલન કરવું જરૂરી છે.
કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયાનું નિયમન આજના સમયની જરૂરિયાત છે અને કંપનીઓને નિયંત્રણ વગર કામ કરવાની મંજૂરી ન આપી શકાય. કોર્ટે આ સાથે સ્પષ્ટ કર્યું કે ભારતીય બંધારણનો આર્ટિકલ 19 માત્ર નારિકો માટે સ્વતંત્ર અભિવ્યક્તિની સુરક્ષા કરે છે એટલે કે વિદેશી કંપનીઓ કે વિદેશી નાગરિકો માટે આ નિયમ લાગૂ ન કરી શકાય.
હાઈકોર્ટે કહ્યું કે ટ્વિટર અમેરિકામાં કાયદાનું પાલન કરે છે, પરંતુ ભારતમાં લાગૂ ટેકડાઉન આદેશોને માનવાનો ઇનકાર કરી રહ્યું છે. કોર્ટે તે પણ સ્પષ્ટ કર્યું કે દરેક પ્લેટફોર્મ જે ભારતમાં કામ કરવા ઈચ્છે છે તેણે દેશના કાયદાથી પરિચિત હોવું જોઈએ.
'ભારતમાં નિયમો અને કાયદાઓ અલગ છે.'
હાઇકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે ભારતમાં દેખરેખ વિના સોશિયલ મીડિયા કંપનીઓને કામ કરવાની મંજૂરી આપી શકાતી નથી, અને અનિયંત્રિત ઓનલાઈન અભિવ્યક્તિ અરાજકતા તરફ દોરી શકે છે. કોર્ટે સાયબર ક્રાઇમ સામે લડવા માટે સહકાર પોર્ટલનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે 2021 ના નિયમો માટે 2011 ના શ્રેયા સિંઘલના નિર્ણય કરતાં અલગ અર્થઘટનની જરૂર છે.
કોર્ટે અમેરિકાના ન્યાયશાસ્ત્રને ભારતમાં લાગૂ કરવાની વાતને પણ નકારી અને કહ્યું કે ભારતમાં નિયમ અને કાયદો અલગ છે.
'ટેકનોલોજી સાથે નિયમોનો વિકાસ થવો જોઈએ'
ડિજિટલ વિશ્વમાં થઈ રહેલા ઝડપી ફેરફારોની નોંધ લેતા બેન્ચે કહ્યું, "એલ્ગોરિધમ્સ સતત માહિતીના પ્રવાહને આકાર આપી રહ્યા છે. શું સોશિયલ મીડિયાના જોખમને નિયંત્રિત અને નિયમનની જરૂર નથી?"
કોર્ટે કહ્યું કે જેમ-જેમ ટેક્નોલોજીનો વિકાસ થાય છે, નિયંત્રણ પણ વિકસિત થવા જોઈએ અને 2021ના આઈટી નિયમો માટે એક નવી વ્યાખ્યાત્મક દ્રષ્ટિ જરૂરી છે.
કોર્ટે તારણ કાઢ્યું કે કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દેશના કાયદાનો અપવાદ લઈ શકે નહીં, અને સ્પષ્ટ કર્યું કે ભારતીય બજારને કોઈનું રમતનું મેદાન ગણી શકાય નહીં.