)
Bilawal Bhutto on Indus Waters Treaty: પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારતને યુદ્ધની ધમકી આપી છે. તેમનું કહેવું છે કે, જો ભારત સિંધુ જળ સંધિને રદ કરે છે અને સિંધુ નદી પર ડેમ બનાવવાનો પ્રયાસ કરે છે, તો પરિસ્થિતિ યુદ્ધ તરફ દોરી શકે છે.
બિલાવલે આ નિવેદન હઝરત શાહ અબ્દુલ લતીફ ભીટ્ટાઈના 282મા ઉર્સ દરમિયાન ભીત શાહમાં આયોજિત 'શાહ લતીફ એવોર્ડ' સમારોહમાં આપ્યું હતું. તમને જણાવી દઈએ કે, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઘણા કડક પગલાં લીધા હતા, જેમાં સિંધુ જળ સંધિને રોકવાનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાન આ પગલાથી ગુસ્સે છે.
પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતની કાર્યવાહી
7 મેના રોજ ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો અને પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા અને તેમને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા. આ પાકિસ્તાન માટે મોટો ફટકો હતો. જો કે, 10 મેના રોજ બન્ને દેશો વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી હતી.
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પણ વ્યક્ત કરી યુદ્ધનો આશંકા
આ પહેલા ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પણ કહ્યું હતું કે, આગામી યુદ્ધની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, તે ટૂંક સમયમાં થઈ શકે છે અને આપણે તે મુજબ તૈયાર રહેવું પડશે. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન સશસ્ત્ર દળોને સંપૂર્ણ છૂટ આપવામાં આવી હતી અને તેથી જ આ ઓપરેશન સફળ રહ્યું.
'ઓપરેશન સિંદૂર'એ દેશને એકજૂટ કર્યો
જનરલ દ્વિવેદીના અનુસાર, 22 એપ્રિલે પહેલગામમાં બનેલી ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. બીજા જ દિવસે 23 એપ્રિલે ટોપના લશ્કરી અને રાજકીય નેતૃત્વની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે ખૂબ જ કડક સ્વરમાં કહ્યું કે, 'બસ હવે બહુ થયું.'
આર્મી ચીફે કહ્યું કે, એ સમજવું મહત્વપૂર્ણ છે કે કેવી રીતે એક નાનું નામ - 'ઓપરેશન સિંદૂર' - આખા દેશને એકજૂટ કરી શકે છે. આ નામથી આખા દેશને નવી ઉર્જા મળી. જ્યારે ડાયરેક્ટરે આ નામ સૂચવ્યું, ત્યારે પહેલા મને લાગ્યું કે તે 'સિંધુ' છે, એટલે કે સિંધુ નદી, અને મેં મજાકમાં કહ્યું, 'શાનદાર, તમે સિંધુ જળ સંધિને સ્થિર કરી દીધી છે.' પરંતુ તેમણે મને કહ્યું કે, તે 'સિંદૂર' છે.