)
Nepal Election Date Announced: નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે સંસદના નીચલા ગૃહના પ્રતિનિધિ સભા માટે આગામી ચૂંટણીઓ તમામ પક્ષોને સહયોગ આપવા શનિવારે અપીલ કરી છે. આ ચૂંટણીઓ 5 માર્ચે યોજાવાની છે. દેશમાં એક અઠવાડિયા સુધી હિંસક વિરોધ પ્રદર્શન થયા બાદ અને જેના કારણે કેપી શર્મા ઓલીએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું અને સુશીલા કાર્કીને દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિએ એક નિવેદનમાં બધાને આગ્રહ કર્યો કે, લોકોના હિતોનું રક્ષણ કરવા અને સ્વ-શિસ્ત જાળવીને સમયસર ચૂંટણીઓ યોજવા માટે મહેનતથી મેળવેલી તકનો ઉપયોગ કરો. તેમણે કહ્યું કે, એક ખૂબ જ નાજુક, મુશ્કેલ અને ખતરનાક પરિસ્થિતિમાંથી પસાર થયા પછી દેશ માટે શાંતિપૂર્ણ માર્ગ શક્ય બન્યો છે.
પૌડેલે કહ્યું કે, બંધારણ અને સંસદીય વ્યવસ્થા સુરક્ષિત છે અને સંઘીય લોકશાહી પ્રજાસત્તાક અકબંધ છે. રાષ્ટ્રપતિ પૌડેલે નિવેદનમાં કહ્યું કે, છ મહિનાની અંદર પ્રતિનિધિ સભા માટે ચૂંટણીઓ યોજીને લોકોને પ્રગતિશીલ લોકશાહીના માર્ગ પર આગળ વધવાની તક મળી છે. પૌડેલે શુક્રવારે નવનિયુક્ત વડાપ્રધાનની ભલામણ પર પ્રતિનિધિ સભાનું વિસર્જન કર્યું અને કહ્યું કે, આગામી સંસદીય ચૂંટણી 5 માર્ચે યોજાશે.
પૂર્વ મુખ્ય ન્યાયાધીશ કાર્કી (73)એ શુક્રવારે રાત્રે દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે શપથ લીધા. આ સાથે જ રાજકીય અનિશ્ચિતતાના સમયગાળાનો અંત આવ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને કથિત ભ્રષ્ટાચાર સામે સરકાર વિરોધી પ્રદર્શનનો વચ્ચે આ અઠવાડિયે ઓલીના અચાનક રાજીનામા બાદ આ સ્થિતિ બની હતી. કાર્કી રવિવારે એક નાનું મંત્રીમંડળ બનાવશે, તેમની પાસે ગૃહ, વિદેશ અને રક્ષા સહિત 20થી વધુ મંત્રાલયો હશે. રાષ્ટ્રપતિ કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું કે, વડાપ્રધાન કાર્કી રવિવારે મંત્રી પરિષદની રચના કરશે, જેમાં કાર્યભાર સંભાળ્યા પછી કેટલાક મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, વિરોધ પ્રદર્શન દરમિયાન સિંહ દરબાર સચિવાલયમાં પ્રધાનમંત્રી કાર્યાલયને આગ ચાંપી દેવામાં આવી હતી, તેથી સિંહ દરબાર સંકુલમાં ગૃહ મંત્રાલય માટે નવી બનેલી ઇમારતને પ્રધાનમંત્રી કાર્યાલય માટે તૈયાર કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી કાર્યાલયને ત્યાં ખસેડવા માટે રાખ દૂર કરવા અને ઇમારતની આસપાસના વિસ્તારોને સાફ કરવાનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન પ્રધાનમંત્રી કાર્કીએ શનિવારે કાઠમંડુના બનેશ્વર વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં વિરોધ પ્રદર્શન દરમિયાન ઘાયલ થયેલા ડઝનેક લોકોની સારવાર કરવામાં આવી રહી છે.
નેપાળના મુખ્ય રાજકીય પક્ષો અને સર્વોચ્ચ વકીલ સંગઠને રાષ્ટ્રપતિના સંસદ ભંગ કરવાના નિર્ણયની આકરી ટીકા કરી છે અને આ પગલાને 'ગેરબંધારણીય', 'મનસ્વી' અને લોકશાહી માટે એક મોટો ઝટકો ગણાવ્યો છે. વિસર્જન કરાયેલા પ્રતિનિધિ ગૃહના મુખ્ય દંડકોએ સંસદ ભંગનો વિરોધ કરતા સંયુક્ત નિવેદન જાહેર કર્યું. નેપાળ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે, વિરોધ પ્રદર્શનોમાં એક ભારતીય નાગરિક સહિત ઓછામાં ઓછા 51 લોકો માર્યા ગયા છે.