)
દુબઈમાં કામ કરવા ગયેલા તેલંગણાના ત્રણ ભારતીય નાગરિકો પર ખૌફનાક હુમલાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. ઈજાગ્રસ્ત બે ભારતીયોના મોત થઈ ગયા છે અને એક ગંભીર રીતે ઘાયલ છે. આ દર્દનાક ઘટના 11 એપ્રિલના રોજ દુબઈની એક બેકરીમાં ઘટી. આ બેકરીમાં પીડિત ભારતીય યુવકો કામ કરતા હતા. પરિજનોનો આરોપ છે કે આ હુમલો એક પાકિસ્તાની નાગરિકે કર્યો. જે ધાર્મિક નારા લગાવતો લગાવતો બેકરીમાં ઘૂસ્યો અને તલવારથી હમલો કર્યો હતો.
એજન્સીના જણાવ્યાં મુજબ આ હુમલામાં નિર્મલ જિલ્લાના સૌન ગામના 35 વર્ષના અશ્તાપુ પ્રેમસાગરનું મોત થયું. તેમના કાકા એ. પોશેટ્ટીના જણાવ્યાં મુજબ પ્રેમસાગર છેલ્લા 5-6 વર્ષથી દુબઈની બેકરીમાં કામ કરતા હતા. બે વર્ષ પહેલા ભારત આવ્યા હતા. હુમલાના સમયે તેઓ ડ્યૂટી પર હતા અને ત્યારે આરોપીએ તલવારથી હુમલો કર્યો. જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
પરિજનોના જણાવ્યાં મુજબ પ્રેમસાગરના ઘરમાં પત્ની અને બે બાળકો છે. પરિજનોએ સરકારને અપીલ કરી છે કે તેમના પાર્થિવ શરીરને ભારત લાવવામાં આવે અને પરિજનોને આર્થિક મદદ આપવામાં આવે. આ હુમલામાં માર્યા ગયેલા બીજા વ્યક્તિની ઓળખ નિઝામાબાદ જિલ્લાના શ્રીનિવાસ તરીકે થઈ છે.
આ જાણકારીની પુષ્ટિ કેન્દ્રીય મંત્રી જી.કિશનરેડ્ડીએ કરી છે. ઘટનામાં ત્રીજો વ્યક્તિ ઘાયલ થયો છે જેમનું નામ સાગર છે અને હાલ હોસ્પિટલમાં દાખલ છે. સાગરના પત્ની ભવાનીએ નિઝામાબાદમાં વાત કરતા ઘટનાની પુષ્ટિ કરી અને સરકાર પાસે મદદની અપીલ કરી.
ઘટના અંગે સમગ્ર તેલંગણામાં શોકની લહેર ફરી વળી છે. કેન્દ્રીયમંત્રી કિશન રેડ્ડીએ સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે તેમણે વિદેશમંત્રી એસ જયશંકર સાથે વાત કરી છે. જેમણે પીડિત પરિવારનો શક્ય તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.
રેડ્ડીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે દુબઈમાં તેલંગણાના બે યુવકો અશ્તાપુ પ્રેમસાગર અને શ્રીનિવાસની બર્બર હત્યાથી ઊંડો આઘાત પહોંચ્યો છે. મે વિદેશમંત્રી જયશંકર સાથે વાત કરી છે અને તેમણે પીડિત પરિવારોને દરેક શક્ય મદદ અને પાર્થિવ શરીરને જલદી ભારત લાવવાનું ભરોસો જતાવ્યો છે.